રીટેન ખેલાડીઓ અંગેની BCCIની બેઠકમાં શાહરૂખ-વાડિયા વચ્ચે તડાફડી
IPL-2025ના નિયમો બાબતે જય શાહની હાજરીમાં ફ્રેન્ચાઇઝી માલિકોની બેઠક યોજાઇ
બીસીસીઆઈ આઈપીએલ 2025 સીઝન માટે મેગા ઓક્શન પહેલા ખેલાડીઓ માટે કયા નિયમો હોવા જોઈએ તે અંગે ચર્ચામાં વ્યસ્ત છે. આ પ્રયાસમાં 31મી જુલાઈને તમામ ફ્રેન્ચાઈઝી માલિકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકનો સૌથી મહત્વનો એજન્ડા ખેલાડીઓને જાળવી રાખવાનો હતો. એટલે કે મેગા ઓક્શન પહેલા કેટલા ખેલાડીઓને રિટેન કરી શકાશે. દરેક ફ્રેન્ચાઈઝીના અભિપ્રાય અલગ-અલગ છે અને આ મતભેદો બીસીસીઆઈની આ બેઠકમાં સામે આવ્યા હતા, જેમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે ખૂબ જ ઉગ્ર ચર્ચા થઈ હતી.
અત્યાર સુધી આઈપીએલમાં માત્ર 4 ખેલાડીઓને જ રિટન કરવાનો નિયમ છે, જેમાં 2થી વધુ વિદેશી અને 3થી વધુ ભારતીય ખેલાડીઓને સામેલ કરી શકાય નહીં. જો કે લીગની 17 સિઝન પૂર્ણ થયા પછી, ઘણી ફ્રેન્ચાઇઝીઓએ આગામી વર્ષો માટે ટીમની ઓળખ બનાવવા માટે જાળવી રાખવાની સંખ્યામાં વધારો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેથી ચાહકોનું જોડાણ ટીમ સાથે જળવાઈ રહે.
આ બેઠક મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં યોજાઈ હતી. આમાં જય શાહ સહિત બીસીસીઆઈના અધિકારીઓ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની સાથે માત્ર ફ્રેન્ચાઈઝીના માલિકો જ હાજર હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા ફ્રેન્ચાઇઝી માલિકો આ સમયગાળા દરમિયાન રિટેન્શનની સંખ્યા વધારવાની તરફેણમાં હતા. જેમાં કોલકાતાના માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. પરંતુ બીજી તરફ પંજાબ કિંગ્સના માલિકે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પંજાબ તરફથી આ મીટિંગમાં પ્રીતિ ઝિન્ટા નહીં પરંતુ ફ્રેન્ચાઈઝીના કો-ઓનર નેસ વાડિયા હાજર હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબતે શાહરૂખ સાથે તેની ઘણી ચર્ચા થઈ હતી.
હવે સવાલ એ છે કે બંને વચ્ચે ઝઘડો કેમ થયો આનું કારણ સ્પષ્ટ છે. શાહરૂૂખની કેકેઆર એ આ સિઝનમાં ટાઈટલ જીત્યું હતું અને આવી સ્થિતિમાં તે શક્ય તેટલા વધુ ખેલાડીઓને પોતાની સાથે રાખવા ઈચ્છે છે, જેથી ટીમનો ‘કોર’ અકબંધ રહે.
બીજી બાજુ અગાઉની ઘણી સિઝનની જેમ પંજાબ કિંગ્સ આ વખતે પણ નિષ્ફળ ગયા અને દર વખતની જેમ તેમણે તેમની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ખેલાડીઓ બદલ્યા. ટીમમાં 2-3 ખેલાડીઓને બાદ કરતાં મોટાભાગના ખેલાડીઓને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં પંજાબ ઓછામાં ઓછું જાળવી રાખવાની તરફેણમાં હોય તે સ્વાભાવિક છે.