ભારત-દ.આફ્રિકા વચ્ચે કાલે બીજી વન ડે
ભારત શ્રેણી જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે, દ.આફ્રિકાના કેપ્ટન બાવુમાની વાપસીની ચર્ચા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની રોમાંચક વનડે શ્રેણીનો બીજો મુકાબલો આ સપ્તાહે યોજાવા જઈ રહ્યો છે. પહેલો મેચ રવિવારે રમાયો હતો, જેમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દક્ષિણ આફ્રિકાએ અગાઉની બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતને ક્લીન સ્વીપ આપી હતી.
રવિવારે રાંચીમાં રમાયેલા પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે વિજય સાથે શ્રેણીની શરૂૂઆત કરી છે. આ મેચમાં બંને ટીમોએ 300થી વધુનો મોટો સ્કોર બનાવ્યો હતો અને કુલ 681 રન નોંધાયા હતા, જે ક્રિકેટ ચાહકો માટે એક શાનદાર મનોરંજન પુરવાર થયો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં રેકોર્ડબ્રેક સદી ફટકારીને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. બોલિંગમાં કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તેણે 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
હવે ક્રિકેટ ચાહકોની નજર શ્રેણીની બીજી અને મહત્વપૂર્ણ મેચ પર છે. ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા માટે ઉત્સુક છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રેણીમાં ટકી રહેવા માટે કમબેક કરવા મક્કમ છે. પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા રમ્યા નહોતા, પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી મેચમાં તેમની વાપસી થઈ શકે છે. જો ટેમ્બા બાવુમા ટીમમાં પાછા ફરે છે, તો સંભવત: રિયાન રિકલ્ટનને બહાર બેસવું પડી શકે છે.
આ ફેરફાર સાથે, એડન માર્કરમ અને ક્વિન્ટન ડિકોક ઓપનિંગ કરી શકે છે. જયારે કેપ્ટન ટેમ્બા બાવુમા ત્રીજા નંબર પર બેટિંગ કરતા જોવા મળી શકે છે. પ્રથમ મેચ ન રમનાર ટ્રિસ્ટન સ્ટબ્સ માટે બીજા મેચમાં પણ રમવું મુશ્કેલ લાગે છે. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા હવે શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.