રોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્મા, જેઓ પહેલાથી જ ટેસ્ટ અને T20 ફોર્મેટને અલવિદા કહી ચૂક્યા છે, તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક રહસ્યમય તસવીર શેર કરતા આ અટકળોને વેગ મળ્યો છે. જોકે, આ દાવાઓની સત્યતા અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રોહિત શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના ક્રિકેટ હેલ્મેટનો ફોટો શેર કર્યો છે.
આ તસવીર પર તેણે જૂન 23, 2025 ની તારીખ લખી છે અને સાથે એક સંદેશ પણ લખ્યો છે કે, તે હંમેશા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ અનુભવશે. આ તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કરવાનું શરૂૂ કરી દીધું કે ‘હિટમેન’એ ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. વાસ્તવિકતા એ છે કે, રોહિત શર્માએ ચોક્કસપણે આ સ્ટોરી શેર કરી છે, પરંતુ તેણે પોતાની પોસ્ટમાં નિવૃત્તિ સંબંધિત કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. તે જ સમયે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ રોહિતની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આના પરથી કહી શકાય કે તેની ODI નિવૃત્તિના તમામ દાવા હાલ પૂરતા ખોટા સાબિત થાય છે.