દ.આફ્રિકા સામે શ્રેણી હારવાથી અમને કોઈ ફરક નહીં પડે: રવિન્દ્ર જાડેજા
ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીતવા માટે 549 રનનો પહાડ જેવો લક્ષ્યાંક મૂક્યો છે, જેનો પીછો કરવો લગભગ અશક્ય જણાય છે. ભારત પર ઘરઆંગણે 2-0 થી ‘ક્લીન સ્વીપ’ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ નાજુક સમયમાં ટીમના સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક એવું નિવેદન આપ્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે. જાડેજાએ કહ્યું છે કે શ્રેણી હારવાથી ટીમને ખાસ કોઈ અસર થશે નહીં અને જો આ મેચ ડ્રો પણ રહે છે, તો તે યુવા ટીમ માટે જીત સમાન ગણાશે.
રવિન્દ્ર જાડેજાએ ટીમની રણનીતિ અને માનસિકતા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, નસ્ત્રઅમે ટેસ્ટ મેચને બચાવવાનો પૂરો પ્રયાસ કરીશું. ભલે અમે શ્રેણી જીતી શકીએ તેમ નથી, પરંતુ જો અમે આ મેચને ડ્રો કરવામાં સફળ રહીએ, તો તે અમારા માટે ‘જીત-જીત’ (Win-Win)ની પરિસ્થિતિ હશે.’ જાડેજાના મતે, હાર નિશ્ચિત દેખાતી હોવા છતાં ટીમ છેલ્લા બોલ સુધી લડત આપવાનો પ્રયાસ કરશે.
જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું આ હારની અસર ભવિષ્ય પર પડશે? ત્યારે તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ હારની અસર આગામી શ્રેણી પર પડશે. જોકે, એક ક્રિકેટર તરીકે કોઈ પણ ઘરઆંગણે હારવા માંગતું નથી.’ જાડેજાએ ભારપૂર્વક જણાવ્યું કે આ શ્રેણી યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ખેલાડીઓ માટે શીખવાનો એક મોટો અનુભવ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સરળ નથી અને આ પડકારો તેમને ભવિષ્ય માટે તૈયાર કરશે.