તમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જન
બે કબડ્ડી ખેલાડીઓની અરજી પરની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું, રમત પર ધ્યાન આપો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે તે દેશભરની રમતગમત સંસ્થાઓની કામગીરીની તપાસ કરવા માટે એક તપાસ પંચની સ્થાપના કરી શકે છે અને જો જરૂૂરી હોય તો તેમને વિસર્જન કરવાનો વિચાર પણ કરી શકે છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો હેતુ ખેલાડીઓને નિશાન બનાવવાનો નથી અને તેઓને આવા મુદ્દાઓથી દૂર રહેવા દેવા જોઈએ અને ફક્ત તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોર્ટે અવલોકન કર્યું હતું કે, અમે કબડ્ડી એસોસિએશનોની બાબતોની ઊંડી તપાસ માટે તપાસ પંચની નિમણૂક કરવા તરફ વિચારી રહ્યા છીએ... અમને થોડો સમય આપો, અમે આ તમામ એસોસિએશનોને વિસર્જન કરી દઈશું. જ્યાં સુધી ખેલાડીઓની વાત છે, કોઈ તેમને સ્પર્શી રહ્યું નથી. તેઓએ સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ... તેઓએ રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોર્ટ બે ખેલાડીઓ, પ્રિયંકા અને પૂજા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે 20 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ઈરાનમાં યોજાનારી સિનિયર એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2025માં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. ચૂંટાયેલી ગવર્નિંગ બોડીની ગેરહાજરીને કારણે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (એકેએફઆઈ)ના સસ્પેન્શનને કારણે તેમની ભાગીદારીમાં અવરોધો આવ્યા હતા.
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે કોર્ટને જણાવ્યું હતું કે ખેલાડીઓનું જે રીતે અપમાન કરવામાં આવ્યું તેનાથી તેઓ નિરાશ છે. તેમણે કહ્યું કે હવે એક વૈકલ્પિક એસોસિએશન લાવવામાં આવ્યું છે.
એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે સૂચનાઓ મેળવવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો, ત્યારબાદ આ મામલાની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ ચિંતા દર્શાવી હતી
આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે ભારતમાં રમતગમત સંસ્થાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હોય. 17 માર્ચે પણ સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે ઘણી રમતગમત સંસ્થાઓ બીમાર સંસ્થાઓ છે. કોર્ટે કહ્યું હતું કે, આ તમામ રમતગમત સંસ્થાઓમાં રમતગમત જેવું કંઈ નથી. આ બધી બીમાર સંસ્થાઓ છે, અમને ખબર નથી કે તેઓ શેના માટે ઝઝૂમી રહ્યા છે.