હું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’
કપ્તાનપદના દાવેદારોમાં ભલે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ ન હતું, પરંતુ અનુભવી ઓલરાઉન્ડરે કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માંગશે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઋષભ પંત ઉપ-કેપ્ટન રહેશે. બીજી તરફ, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માંગશે. ખરેખર, પોતાની લાંબી કારકિર્દીમાં અલગ અલગ કેપ્ટન સાથે રમતા, તે આ ભૂમિકાને ખૂબ સારી રીતે સમજી ગયો છે.
શું તે ભારતનો ટેસ્ટ કેપ્ટન બનવા માંગે છે..? આ પૂછવામાં આવતા, 36 વર્ષીય જાડેજાએ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર કહ્યું, હા, બિલકુલ. વર્ષોથી, હું અલગ અલગ કેપ્ટન સાથે રમ્યો છું. હું દરેક કેપ્ટનની શૈલી જાણું છું અને ખેલાડીઓ શું વિચારે છે અને શું ઇચ્છે છે તે પણ સમજું છું.
જાડેજાએ કહ્યું, દરેક કેપ્ટનની પોતાની શૈલી હોય છે. મેં દરેક ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમ્યો છું અને તેની વિચારસરણી ખૂબ જ સરળ છે. જો તેને લાગે કે બેટ્સમેન એક જ જગ્યાએ શોટ રમી શકે છે, તો તે ચોક્કસપણે ત્યાં એક ફિલ્ડર મૂકશે.
રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, અશ્વિને જાડેજાને કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું હતું. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું, આપણે રવિન્દ્ર જાડેજાને કેમ ભૂલીએ. જો નવા કેપ્ટનની જરૂૂર હોય, તો હું કહીશ કે બે વર્ષ માટે અનુભવી વ્યક્તિને કમાન સોંપ્યા પછી, કમાન નવા વ્યક્તિને સોંપવી જોઈએ.
જાડેજાએ એમ પણ કહ્યું કે ટેસ્ટ ટીમ કરતાં T20 માં કમાન વધુ મુશ્કેલ છે. તેમણે કહ્યું, ટેસ્ટ ક્રિકેટમાં, તમારે બોલરની જરૂૂરિયાત મુજબ બે કે ત્રણ ફિલ્ડર બદલવા પડે છે, બેટ્સમેન પ્રમાણે નહીં તેમણે કહ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ અલગ હોય છે. તેમાં વધારે વિચારવાની જરૂૂર નથી. તે IPL કે T20 જેટલું જટિલ નથી, જ્યાં દરેક બોલ મહત્વપૂર્ણ હોય છે.