મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન પદે હાર્દિક પંડ્યા, રોહિત યુગનો અંત
આઇપીએલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઇપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમ કહેવાતી મુંબઈ ઈન્ડિયન્સે આઇપીએલ 2024 સીઝન માટે હાર્દિક પંડ્યાને તેના કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. આ સાથે ટીમમાંથી રોહિત શર્મા યુગનો અંત આવ્યો છે. મુંબઈએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને ત્યારથી તેને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા પણ કેપ્ટન તરીકે આઇપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. 2022 માં ગુજરાત ટાઇટન્સે હાર્દિકની કપ્તાનીમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. મુંબઈએ 2022ની હરાજી પહેલા હાર્દિકને છોડી દીધો હતો. પરંતુ 2024ની હરાજી પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. ગત સિઝનમાં પણ હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત રનર અપ હતું.
રોહિત શર્માને 2013ની સીઝનના મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને રોહિતે ખિતાબ જીતી લીધો હતો. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. તેણે 11 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત ચેમ્પિયન બનાવ્યું. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા આઇપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 158 મેચોમાં મુંબઈની કેપ્ટનશિપ કરી અને 87 મેચ જીતી.
રોહિતની કેપ્ટનશિપ કેમ છીનવાઇ?
રોહિત પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવી લેવાનું કોઈ મોટું કારણ સામે આવ્યું નથી પરંતુ એવું લાગે છે કે તે આ ફોર્મેટથી અંતર બનાવી રહ્યો છે. તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી મેદાનમાં પરત ફરશે. તે ટેસ્ટ ટીમની કપ્તાની પણ સંભાળશે. રોહિત વનડે વર્લ્ડ કપથી બ્રેક પર છે. હવે એવું લાગી રહ્યું છે કે રોહિતની કેપ્ટન્સીમાં ભારત આગામી ટી20 વર્લ્ડ કપ નહીં રમે. કાં તો હાર્દિકને કમાન સોંપવામાં આવશે અથવા રોહિતના નિર્ણયની રાહ જોવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સ આ લીગની સૌથી સફળ ટીમોમાં સામેલ છે. તેણે ઈંઙક ટ્રોફી 1-2 નહીં પરંતુ 5 વખત ઉપાડી છે. આશ્ચર્યજનક વાત એ છે કે રોહિત શર્મા પાંચેય વખત કેપ્ટન હતો. એટલું જ નહીં મુંબઈને 10 વખત પ્લેઓફની ટિકિટ મળી છે. ટીમે વર્ષ 2013માં તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ પછી, તેણે 2015, 2017, 2019 અને 2020 માં ઈંઙક ટ્રોફી જીતી.