20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો, અને હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સામે હશે? ચેમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર જીત બાદ હવે સૌ કોઈની નજર ભારતીય ટીમની આગામી સિરીઝ પર મંડાયેલી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટ પૂર્ણ થતાની સાથે જ ક્રિકેટ રસિકો ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલની રોમાંચક શરૂૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલની સિઝન થોડી અલગ અને વધુ રોમાંચક બની રહેશે, કારણ કે તાજેતરમાં યોજાયેલી મેગા ઓક્શન પછી તમામ ટીમોના ખેલાડીઓ બદલાઈ ગયા છે અને ટીમનું સંતુલન પણ નવું જોવા મળશે. આઈપીએલના ઉત્સાહની વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતની નેક્સ્ટ મેચ ક્યારે અને કોની સામે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ટીમ તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા જૂન મહિનામાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બન્ને ટીમો વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. આ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 20 જૂનથી થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સમાં 20 થી 24 જૂન દરમિયાન રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 2 જુલાઈથી 6 જુલાઈ સુધી બર્મિંગહામમાં, ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી 14 જુલાઈ સુધી લંડનમાં, ચોથી ટેસ્ટ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ તમામ મેચો બપોરે 3:30 વાગ્યે શરૂૂ થશે.
ઈંગ્લેન્ડનો આગામી પ્રવાસ ભારતીય ટીમ માટે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો પણ જોવા મળી શકે છે. એવી શક્યતા છે કે રોહિત શર્મા આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન પણ હોય અને તેના સ્થાને કોઈ નવા ખેલાડીને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી હતી, જેમાં ભારતને 4-1થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઉભા થયા હતા, જેના કારણે ટીમમાં કેટલાક નવા ફેરફારો થવાની સંભાવના છે.