ફાઇનલમાં પણ સૂર્યકુમાર યાદવે પાક. કેપ્ટન સલમાન સાથે હાથ ન મિલાવ્યો
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ (IND vs PAK Final) માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે શરૂૂઆતથી જ અપનાવેલું કડક વલણ જાળવી રાખ્યું હતું. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું, જેનાથી નો-હેન્ડશેક વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના એ હતી કે સામાન્ય રીતે ટોસ સમયે બંને કેપ્ટનો સાથે વાતચીત કરતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ પણ પાકિસ્તાની કેપ્ટનને અવગણ્યા હતા.
ICCના નિયમો અનુસાર, ખેલાડીઓ માટે હાથ મિલાવવા ફરજિયાત નથી, પરંતુ ક્રિકેટમાં આ એક લાંબા સમયથી ચાલતી રમતગમતની પરંપરા રહી છે. અગાઉ, સુપર 4 રાઉન્ડની મેચમાં સાહિબજાદા ફરહાનને ઉજવણી માટે ચેતવણી અને હરિસ રૌફને દંડ થયા પછી ભારતે આ કડક વલણ અપનાવ્યું હતું.
આ વખતે આ વિવાદમાં કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનું નામ પણ જોડાયું છે. શાસ્ત્રી સામાન્ય રીતે ટોસ સમયે બંને કેપ્ટનો સાથે વાતચીત કરવાની લાંબા સમયથી ચાલતી પરંપરાનું પાલન કરે છે, પરંતુ ફાઇનલમાં તેમણે સલમાન આગાને પણ અવગણ્યા હતા. પાકિસ્તાની કેપ્ટન સાથે વાતચીત કરવા માટે એક અલગ કોમેન્ટેટરને મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભારતીય ટીમ અને બ્રોડકાસ્ટિંગ ટીમ દ્વારા પાકિસ્તાન સામે અપનાવવામાં આવેલી સખત નીતિને વધુ મજબૂત કરી છે.