એશિયા કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માલામાલ, 21 કરોડના ઇનામની BCCIની જાહેરાત
ભારતીય ટીમના એશિયા કપ 2025 જીતવાની સાથે, BCCIએ ભારતીય ટીમ માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સૂર્યા અને તેની ટીમ અને સ્ટાફ સભ્યો માટે ₹21 કરોડની ઇનામી રકમની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમે 147 રનનો લક્ષ્યાંક 2 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો. ટીમ માટે તિલક વર્માએ 69 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 33 રનનું યોગદાન આપ્યું.
એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે ત્રીજી જીત સાથે, ટીમ ઈન્ડિયાએ નવમી વખત ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમના મજબૂત પ્રદર્શનથી ખુશ થઈને, BCCIએ ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો માટે ₹21 કરોડની ઈનામી રકમની જાહેરાત કરી છે.
બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી છે. 20 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ, તિલક વર્મા અને સંજુ સેમસન દ્વારા ભારતની ઇનિંગ્સને સ્થિર કરવામાં આવી હતી. તેઓએ ચોથી વિકેટ માટે 57 રન ઉમેર્યા હતા. સંજુ 24 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, તિલક એક છેડો પકડી રાખ્યો અને 41 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. શિવમ દુબેએ પણ તિલકને સારો સાથ આપ્યો, જેણે 22 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તિલક 53 બોલમાં 69 રન બનાવીને અણનમ રહ્યો, જેનાથી ટીમ ઈન્ડિયાને વિજય મળ્યો. રિંકુ સિંહે બાઉન્ડ્રી ફટકારીને ભારતીય ટીમને યાદગાર વિજય અપાવ્યો.
આ મેચમાં પાકિસ્તાનની શરૂૂઆત ધીમી પણ સારી રહી હતી અને તે સરળતાથી 200 રન પાર કરી શકે તેવી શક્યતા હતી. જોકે, એવું બન્યું નહીં. ભારતીય બોલરોએ તેમને સસ્તામાં આઉટ કર્યા. વરુણ ચક્રવર્તીએ તેમના બે મોટા અને સેટ બેટ્સમેન સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાનને આઉટ કર્યા.