પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટના પગલે શ્રીલંકાના તમામ મેચ હવે રાવલપિંડીમાં રમાશે
આતંકવાદીઓને મોકલીને ભારતમાં પોતાના મળતિયાઓની મદદથી આતંકની પ્રવૃત્તિઓ બેરોકટોક કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ ખુદ પાકિસ્તાનની ધરતી પર બોમ્બ હુમલા થઈ રહ્યા છે જેને કારણે એના જ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બદલવું પડ્યું છે. ઇસ્લામાબાદમાં જીવલેણ આત્મઘાતી હુમલા થયા છે. પાકિસ્તાનના શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામેના ત્રિકોણીયા જંગની ફાઇનલ સહિતની પાંચ મેચ લાહોરમાં રમાવાની હતી, પણ હવે તમામ મેચો રાવલપિંડીમાં રાખવામાં આવી છે.
આ ટ્રાયેન્ગ્યૂલર હવે સલામતીના કારણસર 17મી નવેમ્બરને બદલે 18મી નવેમ્બરે શરૂૂ થશે. ત્રણેય દેશના ક્રિકેટ બોર્ડ સમયપત્રકમાં ફેરફાર કરવા સંમત થવાને પગલે આ ફેરફાર કરાયા છે. દરેક ટીમ ચાર-ચાર મેચ રમશે અને ટોચની બે ટીમ ફાઇનલમાં પહોંચશે.
પાટનગર ઇસ્લામાબાદમાં જીવલેણ સૂસાઇડ બોમ્બ અટેક થવાને પગલે સ્થિતિ ખૂબ ગંભીર છે ત્યાં ઝિમ્બાબ્વેના ક્રિકેટરો ગુરુવારે સવારે આ શહેરમાં પહોંચ્યા હતા જ્યાં તેમને કડક સલામતી વચ્ચે ઍરપોર્ટ પરથી હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. ટ્રાયેન્ગ્યુલર સ્પર્ધાની 18મી નવેમ્બરની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. આ સ્પર્ધામાં મૂળ તો ઝિમ્બાબ્વેને બદલે અફઘાનિસ્તાન રમવાનું હતું, પણ અફઘાનિસ્તાનની ધરતી પર પાકિસ્તાની સૈન્યએ કરેલા હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરના મૃત્યુ થવાને પગલે અફઘાનિસ્તાને આ ટ્રાયેન્ગ્યુલરમાં રમવાની ના પાડી દીધી હતી.