ફાઇનલમાં હાર માટે અમદાવાદની પીચ જ જવાબદાર: રાહુલ દ્રવિડ
વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી હાર માટે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડના મતે અમદાવાદની પિચ જ મુખ્ય રીતે જવાબદાર હતી. આ આઘાતજનક હારનાં બે અઠવાડિયાં બાદ ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાં ટીમના પર્ફોર્મન્સનો રિવ્યુ કરવાનું શરૂૂ કરી દીધું છે. આ માટે તેમણે લંડનમાં રજા માણી રહેલા દ્રવિડ સાથે ગુરુવારે વિડિયો-કોલથી ચર્ચા કરી હતી. અહેવાલ પ્રમાણે આ મીટિંગમાં સેક્રેટરી જય શાહ, વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા અને ટ્રેઝરર આશિષ સેલાર હાજર હતા. તેઓ લીગ તથા સેમી ફાઇનલમાં કમાલના પર્ફોર્મન્સ બાદ ફાઇલનમાં ફસડાઈ પડવા વિશેનું કારણ જાણવા માગતા હતા. માહિતી પ્રમાણે દ્રવિડે આ હાર માટે મુખ્યત્વે અમદાવાદની પિચને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટની અપેક્ષા પ્રમાણે પિચ ટર્ન નહોતી થઈ એથી જ તેઓ ઑસ્ટ્રેલિયાને ચેઝ દરમ્યાન રોકી નહોતા શક્યા. સ્પિનરોને મદદરૂૂપ થાય એ માટે ભારતીય ટીમે નવી પિચને બદલે યુઝ પિચ પસંદ કરી હતી. લોકલ પિચ-ક્યુરેટરની સલાહ પ્રમાણે તેમણે આ યુઝ પિચની પસંદગી કરી હતી અને સ્પિનરોને વધુ મદદરૂૂપ થાય એ માટે એના પર પાણીનો છંટકાવ પણ ઓછો કર્યો હતો. જોકે આ બધી યોજના ભારતીય ટીમને જ ભારે પડી હતી. પિચ જરાય ટર્ન માટે ઉપયોગી નહોતી થઈ અને પહેલા હાફમાં તો એ ખૂબ સ્લો થઈ ગઈ હતી. શમી, બુમરાહ અને સિરાજની ત્રિપુટી ટુર્નામેન્ટમાં ગજબના ફોર્મમાં હોવા છતાં ફાઇનલ માટે ટર્નિંગ પિચનો પ્લાન શા માટે પસંદ કર્યો એના જવાબમાં દ્રવિડે કહ્યું કે આ જ પ્લાન આખી ટુર્નામેન્ટમાં તેમને માટે કામ કરી ગયો હતો, ફક્ત ફાઇનલમાં જ ન ચાલ્યો.