માધાપર સર્કલ પાસે સર્વિસ રોડનો પ્રશ્ર્ન હલ, કપાતમાં જતી જમીનનું 1.80 કરોડ વળતર
રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યું છે. અને આ ઓવરબ્રીજનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ઓવરબ્રીજ બની ગયા બાદ સર્વિસ રોડ માટે વોરા સોસાયટીની જમીન સંપાદિત કરવાની રહી જતાં સર્વિસ રોડના મુદ્દે ઘણા સમયથી અટકી ગયો હતો. જેમાં હવે નિવેડો આવી ગયો છે અને વોરા સોસાયટીની કપાતમાં જતીં 1034 ચો.મી. જમીન પેટે 1.80 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. અને 19મી સુધીમાં વળતરનો ચેક વોરા સોસાયટીના સભ્યોએ લઈ જવાં આદેશ કરવામાં આવ્યો છે.
માધાપર ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે જામનગર રોડ ઉપર કરોડોના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યું છે. ઓવરબ્રીજનું લોકાર્પણ થયા બાદ સર્વિસ રોડ માટે વોરા સોસાયટીની જમીન સંપાદિત કરવાની રહી ગયું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું અને વોરા સોસાયટીની 1034 ચો.મી. જમીન સંપાદિત કરવા માટેસુનાવણી શરૂ કરવામાં આવી હતી.
વોરા સોસાયટી દ્વારા સર્વિસ રોડ માટે કપાતમાં જતી તેમની માલીકીની જમીન સામે રાજકોટમાં જમીનની માંગણી કરી વાંધો લેવામાં આવ્યો હતો. જે અંગે પ્રાંત અધિકારી નિશા ચૌધરી સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના કારણે આ કાર્યવાહી અટકી ગયા બાદ વોરા સોસાયટીની વાંધા અરજી પ્રાંત અધિકારીએ ફગાવી દઈ 1034 ચો.મી. જમીન પેટે વોરા સોસાયટીને 1.80 કરોડની વળતર ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વિસ રોડ માટે વોરા સોસાયટીની જમીન સંપાદિત કરવા સોસાયટીના સભ્યોને 19મી જૂન સુધીમાં વળતરનો ચેક લઈ જવાં સુચના કરવામાં આવી છે. જે ચેક વોરા સોસાયટીના સભ્યોએ સ્વીકારી લીધા બાદ સર્વિસરોડની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
વ્હોરા સોસાયટીને જમીનનું વળતર 19મી સુધી મેળવી લેવા કલેક્ટરની સૂચના