શક્તિસિંહ કાલે રાજકોટમાં, રવિવારે લોકસભાના મતદાનનું પોસ્ટમોર્ટમ
શહેર-જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સાથે યોજશે બેઠક
રાજકોટ સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને કોણ જીતશે? કોણ હારશે?ના ગણિત મંડાઇ રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે સાંજથી બે દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલ આવીતાકાલે શનિવારે સાંજે 6:30 વાગ્યે દિલ્હીથી રાજકોટ આવી પહોંચશે અને એરપોર્ટથી વિશાલ લલિતભાઇ કગથરાની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં પડધરી નજીકના દેપાળીયા ગામે હાજરી આપશે.
જ્યારે રવિવારે સવારે 11 વાગ્યા નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર તથા જિલ્લા કોંગ્રેસ પરિવારના કાર્યકરો સાથે સંવાદ બેઠક યોજાનાર છે. ત્યારબાદ બપોરે 1થી સાંજે પાંચ વાગ્યા સુધી શક્તિસિંહ ગોહિલ પૂર્વનિર્ધરિત મુલાકાતો કરનાર છે.
નાગરબોર્ડિંગ ખાતે યોજાનાર શહેર-જિલ્લા કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે રાજકોટ લોકસભાના બેઠકના મતદાનની પેટર્ન અને હાર-જીત અંગે ચર્ચા કરનાર છે.