TRP અગ્નિકાંડમાં અનેક એજન્સીઓ સંકળાયેલી; સીટનો ધડાકો
જુદી જુદી એજન્સીઓની કાર્યપદ્ધતિ અને પુરાવા એકત્રિત કરવા માટે જ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે : સુભાષ ત્રિવેદી
ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે; તટસ્થ તપાસની ખાતરી આપી
રાજકોટનાં નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે 27 વ્યક્તિઓ બળીને ભડથુ થઈ ગયા છે ત્યારે આ અગ્નિકાંડે રાજકોટનાં સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના અધિકારીઓની નિષ્ક્રીયતાને કારણે જ આ અગ્નિકાંડ સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે અગ્નિકાંડની તપાસ ચલાવી રહેલા સીટના વડા સુભાષ ત્રિવેદીએ આજે પત્રકારો સમક્ષ ચોંકાવનારી માહિતી આપી હતી. જેમાં અગ્નિકાંડમાં અનેક એજન્સીઓ સંકળાયેલી હોવાનું જણાવ્યું છે અને જેના કારણે જ તપાસ ખુબ જ ઉંડાણથી કરવી પડતી હોવાનું કબુલ્યું હતું.
રાજકોટનાં નાનામવા નજીક ટીઆરપી ગેમઝોનમાં 15 દિવસ પહેલા શનિવારે લાગેલી વિકરાળ આગના કારણે ગેમઝોનમાં વેકેશનમાં રમવા આવેલા નવ બાળકો સહિત 27 વ્યક્તિઓ બળીને ખાખ થઈ ગયા હતાં. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સીટની રચના કરી તપાસના આદેશ આપ્યા હતાં.
જ્યારે આ અગ્નિકાંડે રાજકોટના મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની બેદરકારી અને તંત્રની ભ્રષ્ટ નીતિના પાપે જ આ દુર્ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
અગ્નિકાંડની તપાસ ચલાવી રહેલી સીટના વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ તપાસ અર્થે આવ્યા હતાં અને સરર્કીટ હાઉસ ખાતે પત્રકારો સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોનની ઘટના ખુબજ દુ:ખદ ઘટના છે.
આ બાબતે સરકાર ચિંતીત છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જણાવ્યું હતું કે, અગ્નિકાંડમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી હોવાના કારણે તપાસ ખુબ જ ઉંડાણપૂર્વકથી કરવી પડે છે.આ કેસમાં દોષિતોને સજા થાય અને નિર્દોષો ભોગ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોની પુછપરછ કરવામાં આવી છે અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ વિભાગની કામગીરીની ઉંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.
ફાયર સેફટી 2013 થી લઈને 2023 સુધીની જોગવાઈઓની પણ તપાસ કરવામાં આવી રહી છે તેમજ અન્ય વિભાગોમાં શું શું કાર્યવાહી કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ટાઉન પ્લાનીંગની અગ્નિકાંડમાં શું શું જવાબદારી અને ભૂલ રહેલી હતી તેની પણ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જીડીસીઆર અને રૂડાના નિયમોની તપાસ કરી અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.