છત્તીસગઢમાં સાત નક્સલીઓ ઠાર, ત્રણ જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગઇકાલે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓને ઠાર કર્યા હતાં. આ અથડામણમાં ત્રણ જવાન પણ ઘાયલ થયાં હતાં. આ ઘટના સાથે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 122 નક્સલવાદીઓના મોત થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ઓરછા વિસ્તારના ગોબેલ ગામ પાસેના જંગલમાં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલવાદી વિરોધી ઓપરેશન કરી રહી હતી, ત્યારે આ ગનફાઇટ ચાલુ થઈ હતી.
આ ઓપરેશનમાં નારાયણપુર, કોંડાગાંવ, દંતેવાડા અને બસ્તર જિલ્લામાંથી પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનો અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ઈંઝઇઙ)ની 45મી બટાલિયનના જવાનો સામેલ હતાં એકબીજા સામેનો ગોળીબાર બંધ થયા પછી ઘટનાસ્થળેથી યુનિફોર્મમાં પાંચ નક્સલીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો મળી આવ્યાં હતાં. આ એન્કાઉન્ટમાં ત્રણ સુરક્ષા જવાનો પણ ઇજાગ્રસ્ત થયાં હતાં. 23 મેએ નારાયણપુર-બીજાપુર આંતર-જિલ્લા સરહદ પરના જંગલમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતાં. આ ઉપરાંત 10 મેએ બીજાપુર જિલ્લામાં 12ને ઠાર કરાયા હતાં. 30 એપ્રિલના રોજ નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદે આવેલા જંગલમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા સહિત દસ નક્સલવાદીઓને ઠાર કરાયા હતા. 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં બીજા એક એન્કાઉન્ટરમાં 29ના મોત થયા હતાં.