સિનિયર પત્રકાર મયુર ત્રિવેદીનુંં હાર્ટએટેકથી અવસાન, મીડિયા જગતમાં શોક
શહેરના જાણિતા પત્રકાર મયુરભાઈ મુળશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.62)નું રદયરોગના હુમલાથી અવસાન થતાં ત્રિવેદી પરિવાર અને અખબારી આલમમાં શોક ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જામનગરના અને વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર મયુરભાઈ મુળશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.62, રહે. કાશી વિશ્ર્વનાથ પ્લોટ, 6 નવકાર એપાર્ટમેન્ટ, પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનની સામે) આજે સવારે પોતાની કાર લઈને સનરાઈઝ પ્લેટીનમ એપાર્ટમેન્ટ, ઘંટેશ્ર્વર એસ.આર.પી કેમ્પ સામે જઈ રહ્યા હતાં.
ત્યારે ભોમેશ્ર્વર ફાટક પાસે મયુરભાઈને અચાનક ઉલટી થતાં તેઓ બેભાન થઈ ગયા હતાં. પણ સારવાર મળે તે પહેલા જ મયુરભાઈનું જીવલેણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા પરિવારજનો શોકમા ગરક બન્યા હતાં.
દરમિયાન મયુરભાઈના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીંથી પરિવારજનો પાસે વિગતો મળી હતી કે, મયુરભાઈને એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઈ અને એક બહેનમાં તેઓ નાના છે.
ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ નજીક નવા લીધેલા મકાનના વાસ્તુના પ્રસંગમાં જવા ઘરેથી નિકળ્યા બાદ મયુરભાઈને રસ્તામાં આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો હતો. મયુરભાઈ ત્રણેક દાયકાથી પત્રકારત્વ સાથે સંકળાયેલા હતાં અને જૂદા જૂદા મોર્નિંગ, ઈવનિંગ અખબારો સાથે સંકળાયેલા હતાં તેમના આકસ્મિક અવસાનથી પત્રકાર આલમે શોક વ્યક્ત કર્યો છે.