અમદાવાદ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જામનગરના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત
મેઘાણીનગરમાં આવેલી બોઇઝ હોસ્ટલ વિંગ સોપાનમ-8માં રૂમ નંબર સી-523માં એમબીબીએસના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના પ્રેન્ટ્રી રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મેડિકલના વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો હતો.
મેઘાણીનગર પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક અભ્યાસને લઈને ડીપ્રેશનમાં હોવાથી બનાવ બન્યો છે. પોલીસને યુવકના રૂમમાંથી સ્યુસાઇડ નોટ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ જામનગરના ખોડીયાર મંદિર પાછળ આવેલા રડાર રોડ પર નારાયણનગરમાં રહેતાં મનસુખભાઈ ઘાડિયાનો 21 વર્ષનો પુત્ર ધ્રૂવ છેલ્લા ત્રણ વર્ષથી બી.જે.મેડીકલ કોલેજમાં મેડીકલમાં અભ્યાસ કરતો હતો. એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રૂવ બોઈઝ હોસ્ટલના રૂમમાં રહેતો હતો. સોમવારે બપોરે 12.30 વાગ્યા પહેલાના કોઈપણ સમયે બોઈઝ હોસ્ટેલના સી બ્લોકના પાંચમાં માળે આવેલા પેન્ટ્રી રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતા સાથે અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલના સંચાલકોને જાણ કરતા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.
મેઘાણીનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવકે લખેલી કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય ડોક્યુમેન્ટ મળ્યા ન હતા. જો કે, પોલીસે યુવકના મોબાઈલ ફોન આધારે તપાસ શરૂ કરી છે.