જમીનના ડખામાં નિદ્રાધીન મહિલાની ધારિયાના ઘા ઝીંકી હત્યા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના હરીપુર ગામે વાડીએ સુતેલા માતા પુત્ર પર બુકાનીધારી શખ્સે ધારીયા વડે હુમલોકરતાં માતા-પુત્રને ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં મોડીરાત્રે માતાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ ખૂનના ગુનામાં પલ્ટાયો છે. જ્યારે હત્યા પાછળ જમીનનો ડખ્ખો કારણભૂત હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના હરીપુર ગામે રહેતા કેતનગીરી અમૃતગીરી મેઘનાથી (ઉ.23) નામના બાવાજી યુવાને મેંદરડા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા બુકાનીધારી શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના માતા વિજુબેન અમૃતગીરી મેઘનાથી (ઉ.45) તા.8-12-23મી રાત્રે હરીપુરા ગામે પોતાની વાડીએ ઝુંપડામાં સુતા હતા ત્યારે મોડીરાત્રે અજાણ્યો બુકાનીધારી શખ્સ ધારીયા સાથે વાડીમાં ધસી આવ્યો હતો.
હુમલાખોરે નિંદ્રાધીન માતા-પુત્રના માથામાં ધારીયાના ઘા ઝીંકી દેતા બન્નેને ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં મોડીરાત્રે વિજુબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ ખૂનના ગુનામાં પલ્ટાયો છે. ઈજાગ્રસ્ત કેતનગીરીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેના પિતાના અવસાન બાદ કાકા દોલતગીરી સાથે જમીન બાબતે ડખ્ખો ચાલ્યો આવે છે.
બનાવની રાત્રે નારણ નામના શખ્સે ફોન કરી વાડીએ નો રોકાવાય રાત છે ગામમાં આવતું રહેવાય તેમ કહ્યું હતું અને બાદમાં મોડીરાત્રે બુકાનીધારી શખ્સે વાડીમાં ઘુસી હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. મેંદરડા પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી હત્યાનો ભેદ ઉકેલવા ટેકનીકલ સોર્સ પર તપાસ કેન્દ્રીત કરી છે. આ બનાવની વિશેષ તપાસ પીએસઆઈ હડીયા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. પોલીસની પુછપરછમાં કેતનગીરી સંતાનમાં એકનો એક પુત્ર હોવાનું અને અગાઉ પિતાનું અવસાન થયા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી દીધી હતી.