દેવભૂમિ દ્વારકામાં રૂમ બુકિંગના નામે ફેક આઈડી દ્વારા છેતરપિંડીની ફરિયાદ
દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ ભક્તિધામની કોઈ ભેજાબાજોએ ફેક વેબસાઈટ બનાવી ઈન્ટરનેટ પર વાયરલ કરતા તેમાં દર્શાવવામાં આવેલા ફોન નંબર અને બેંક એકાઉન્ટ નંબરના આધારે કેટલાક યાત્રાળુઓ સાથે રૃમ બુકીંગના નામે છેતરપિંડી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકાના અંબુજાનગરમાં આવેલા સ્વામિનારાયણ ભક્તિ ધામમાં રહેતા અને સેવાપૂજાનું કામ કરતા ભાવેશ ભગત ગુરૃ ચંદ્રપ્રસાદદાસજીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમની સંસ્થાની કોઈએ ફેક વેબસાઈટ બનાવી છે.
તે વેબસાઈટ પરથી ભેજાબાજોએ છેતરપિંડી આચરી છે. તે વેબસાઈટ ઈન્ટરનેટ પર મૂક્યા પછી તેમાં રખાયેલા ફોન નંબર તથા બેંક એકાઉન્ટ નંબર ફેક છે તેના આધારે દેશભરમાં જુદા જુદા શહેરોમાંથી જે દર્શનાર્થીઓ દ્વારકા આવવા ઈચ્છતા હોય અને તેઓને સ્વામિનારાયણ ભક્તિધામ સર્ચ કરવાથી ઈન્ટરનેટ પર ઉપરોક્ત ફેક વેબસાઈટ દેખાતી હોય, ભેજાબાજોએ રૃમ બુકીંગ કરી આપવાના બહાના હેઠળ યાત્રાળુઓ પાસેથી રકમ મેળવી લીધી છે. ગયા નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં આવી રીતે કેટલાક યાત્રાળુ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈટી એક્ટ તેમજ આઈપીસીની કલમ-34, 120 (બી), 406, 420, 465, 467, 468, 471 હેઠળ ગુન્હો નોંધ્યો છે.