જસદણના મોક્ષધામમાં અસામાજિક તત્ત્વોની તોડફોડ
જસદણમાં હજારો લોકોના આસ્થાના કેન્દ્ર ગણાતા મોક્ષધામમાં બિરાજતા મેલડી માતાજીના મંદિરે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અગમ્ય કારણોસર ભાવિકોને બેસવા માટેના બાકડામાં તોડફોડ કરવામાં આવતા ગોકુલચોક મેલડી મંડળના ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બનાવના પગલે મોહિતભાઈ મજેઠીયા સહિતના ભાવિકો મંદિરે એકઠા થયા હતા અને બાકડાને નુકસાન પહોંચાડનારા શખ્સો સામે રોષ ઠાલવ્યો હતો. આ વર્ષો જુના મંદિરમાં અગાઉ બે મહિના પહેલા પણ કોઈ અજાણ્યા તસ્કરોએ દાનપેટીની ચોરી કરી હતી અને મંદિરમાં પડેલા લોખંડની પણ ચોરી કરી હતી. ત્યારે ફરી કોઈ અજાણ્યા શખ્સોએ ભાવિકોને બેસવા માટે મુકવામાં આવેલા બાકડામાં તોડફોડ કરવામાં આવતા ભાવિકો રોષે ભરાયા છે. જો કે આજદિન સુધીમાં ગોકુલચોક મેલડી મંડળના સેવકો દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી. પરંતુ હવે પછી આવી કોઈ ઘટના મંદિરમાં બનશે તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ગોકુલચોક મેલડી મંડળના સેવકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
બે મહિના પહેલા પણ મંદિરની દાનપેટી ચોરાઈ ગઈ હતી.ગોકુલચોક મેલડી મંડળના સેવકોએ જણાવ્યું હતું કે, અગાઉ બે મહિના પહેલા કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરમાં રહેલી દાનપેટી અને લોખંડની ચોરી કરવામાં આવી હતી. આ મંદિર મોક્ષધામમાં આવેલું હોવાથી રાત્રીના સમયે કોઈ ભાવિકો હાજર ન હોય ત્યારે જ અજાણ્યા શખ્સો દ્વારા મંદિરમાં નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોવાનું સેવકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી જસદણ પોલીસ તંત્ર દ્વારા રાત્રીના સમયે મંદિરની આજુબાજુમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવી ગોકુલચોક મેલડી મંડળના સેવકો દ્વારા માંગ કરવામાં આવી છે. જો હવે આવી કોઈ ઘટના બનશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે: મોહિતભાઈ મજેઠીયા-ગોકુલચોક મેલડી મંડળના સેવક.મોક્ષધામમાં બિરાજતા મેલડી માતાજીના મંદિરમાં મુકવામાં આવેલા બાકડામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.
અગાઉ બે મહિના પહેલા પણ મંદિરમાં રહેલી દાનપેટીની કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરમાં પડેલા લોખંડના સરિયા પણ કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. જો કે આજદિન સુધી અમારા ગોકુલચોક મેલડી મંડળના આગેવાનો દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ ન હતી. પરંતુ જો હવે આવી કોઈ ઘટના મંદિરમાં બનશે તો અમારા મંડળ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.