રાજકોટમાં RKCના પૂર્વ શિક્ષિકા સહિત બે સાથે રૂા.39 લાખની છેતરપિંડી
રાજકોટનાં રાજકુમાર કોલેજના પૂર્વ મહિલા શિક્ષીકા અને પટેલ વેપારીને રાજકોટના એક શખ્સે ફાર્મ હાઉસ બનાવી આપવાની લાલચ દઈ તેમની પાસેથી રૂા.39 લાખ લીધા બાદ ફાર્મ હાઉસનું મકાન બારોબાર અન્યને વેચી નાખતા આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઠગને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ મામલે રાજકોટનાં નિર્મલા રોડ પર જલારામ પ્લોટ 31/બીમાં રહેતા અને અગાઉ રાજકુમાર કોલેજમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં બીલેન્ડા એસ્ટન હાઈલેન્ડ (ઉ.64)ની ફરિયાદના આધારે સોમનાથ સોસાયટી શેરી નં.11 રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે રહેતાં જીતેન્દ્ર કુવરજીભાઈ મારૂ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં નિવૃત્ત શિક્ષીકાએ જણાવ્યા મુજબ તે વર્ષ 2016માં આર.કે.સી. કોલેજમાં નોકરી કરતાં હોય અને પોતાને મકાન ખરીદવું હોય કોલેજમાં નોકરી કરતાં મીસ્ટર બાસુ તંગજાગનો સંપર્ક કરતાં તેમને જીતેન્દ્ર મારૂ સાથે ઓળખાણ કરાવી હતી. જીતેન્દ્રએ તેમને જણાવ્યું કે ટૂંક સમયમાં તેમનું ડ્રીમલેન્ડ ફાર્મહાઉસ કલાસીક રેસીડેન્સીની અંદર કાલાવડ રોડ પરનો પ્રોજેકટ ચાલુ હોય જ્યાં એક પ્લોટ ખાલી છે તો તેના ઉપર તમને મકાન બનાવી આપવાની વાત કરી હતી અને 34 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જે પેટે બીલેન્ડા એસ્ટન હાઈલેન્ડ એ જીતેન્દ્રને અલગ અલગ સમયે આ રકમ આપી હતી. પરંતુ એક વર્ષ સુધી રકમ આપ્યા બાદ પણ મકાન અંગે કોઈ ચોખવટ થઈ ન હતી કે કયારે દસ્તાવેજ બનાવી દેવામાં આવશે. છેલ્લા આઠ વર્ષ સુધી જીતેન્દ્ર મારૂએ પૈસા લીધા બાદ પણ મકાન નહીં બનાવી આપતા આ બાબતે બીલેન્ડા એસ્ટન હાઈલેન્ડ અને તેમની પુત્રી ટ્રેસી અને વકીલ રશ્મીન શેઠ જ્યારે સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ પાસે કરાટે કલાસીસ ચલાવતાં જીતેન્દ્ર મારૂને મળવા ગયા ત્યારે ઝઘડો કરી મકાન નહીં મળે અને રૂપિયા પણ નથી આપવા તેવું કહી ત્યાંથી કાઢી મુકયા હતાં.
બીલેન્ડા એસ્ટન હાઈલેન્ડ એ આ બાબતે તપાસ કરતાં જીતેન્દ્રએ અન્ય ઘણા બધા લોકોને આ જ રીતે શીશામાં ઉતાર્યા હોય જેમાં મવડી ચોકડી પાસે 80 ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે આવેલ અવસર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી ઉજવલભાઈ વિરમભાઈ પટેલ સાથે પણ છેતરપીંડી કરી હોય અને તેમની પાસેથી પણ મકાનના નામે રૂા.23 લાખની રોકડ અને ચેકથી પેમેન્ટ લીધું હોય ઉજ્જવલભાઈએ સાથે પણ છેતરપીંડી થઈ હોય આ મામલે તપાસ કરતાં બન્ને સાથે થયેલી રૂા.39 લાખની છેતરપીંડી બાબતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં આ મામલે પીએસઆઈ વી.એચ.પરમાર સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.