રીવર્સ સ્વિંગ બધી ટીમથી થાય છે, તમારું મગજ ખુલ્લુ રાખો: રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંઝમામ ઉલ હકના આરોપનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ઇંઝમામ ઉલ હકે ટી20 વર્લ્ડ કપની મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા પર જીત બાદ ભારતીય બોલર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઇંઝમામ ઉલ હકે કહ્યું હતુ કે, ભારતીય ટીમ રિવર્સ સ્વિંગ મેળવવા માટે બોલ પર સીરિયસ કામ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન આડકતરી રીતે ભારત પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવી રહ્યા હતા.
ભારતે ટી20 વર્લ્ડ કપમાં સોમવારે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. ઇંઝમામ ઉલ હકે પાકિસ્તાન ટીવી ચેનલ પર અર્શદીપ સિંહ અને ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.
ઇંઝમામ ઉલ હકે કહ્યું, જ્યારે અર્શદીપ 15મી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. નવા બોલ આટલી જલ્દી રિવર્સ સ્વિંગ નથી થતા. તેનો અર્થ એ છે કે, બોલને 12મી અને 13 ઓવર સુધીમાં તૈયાર કરી લેવામાં આવ્યો હતો. આ બોલ રિવર્સ સ્વિંગ માટે તૈયાર હતો. અમ્પાયરે પોતાની આંખો ખુલી રાખવી પડશે. રોહિત શર્માએ ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રોહિતને ઇંઝમામ ઉલ હકના આરોપ વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટનને પોતાનું મગજ ખુલ્લું રાખવાની સલાહ આપી. રોહિતે કહ્યું, અહીં (વેસ્ટઇન્ડીઝ)ની વિકેટ ઘણી શુષ્ક હોય છે. બધી ટીમોને રિવર્સ સ્વિંગ મળી રહી છે. તમારે તમારું મગજ ખુલ્લુ રાખવાની જરૂૂર છે, આ ઓસ્ટ્રેલિયા નથી.