ગણેશ જાડેજા સહિત આઠ આરોપીના રિમાન્ડ નામંજૂર : જેલહવાલે
જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખનું અપહરણ કરી માર મારવાના કેસમાં પોલીસે ફોર્ચ્યુનર, થાર ગાડી કબજે લીધી : કાવતરાની કલમનો ઉમેરો કરાયો
જૂનાગઢના કાળવા ચોકમાં કાર સરખી ચલાવવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ કરી ગોંડલા ગણેશગઢમાં ગોંધી રાખી બે રહેમીથી માર મારી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 8 શખ્સોની પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલા વાહનો કબ્જે કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે પોલીસ રિમાન્ડની અરજી ફગાવી દઈ તમામ આરોપીને જેલ હવાલે કરી દેવાનો હુકમ કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના દાતા રોડ પર રહેતા અનુસુચિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર અને એનએસયુઆઈના પ્રમુખ સંજય રાજુભાઈ સોલંકીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 10 શખ્સોના નામ આપ્યા હતાં.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ પહેલા ફરિયાદી સંજય સોલંકી બાઈક પર જતો હતો ત્યારે આરોપીઓ કારમાં નિકળ્યા હતા અને બાઈકની નજીક જોરદાર બ્રેક મારી હતી આ વખતે ફરિયાદીએ કાર સરખી ચલાવવાનું કહેતા માથાકુટ થઈ હતી. ત્યાર બાદ આરોપીએ ફરિયાદી સંજય સોલંકીનું તેના ઘર પાસેથી જ કારમાં અપહરણ કરી ગોંડલ નજીક ગણેશગઢ ખાતે લઈ ગયા હતાં.
એનએસયુઆઈના પ્રમુખને ગોંધી રાખી બે રહેમીથી માર મારી યુવાનને નગ્ન કરી પીસ્તોલ બતાવી માફી મગાવતો વીડિયો બનાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ આ બનાવમાં અનુસુચિત સમાજ દ્વારા આરોપીની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે પોલીસ તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફે જે.કે. ક્રિપાલસિંહ રાણા, ઈન્દ્રજિતસિંહ ઉર્ફે ઈન્દુભા દાદુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા રેવતુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દીગુભા કેશરીસિંહ જાડેજા, સમીર ઉર્ફે પોલાડ બગસ મજગુલ અકરમ હબીબ તરકવાડિયા, રમિઝ અનવર પઠાણની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ ફેર્ચ્યુનર અને થાર ગાડી તેમજ મોબાઈલફોન મળી 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો.
પોલીસે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે સાત દિવસની પોલીસ રિમાન્ડની માંગણી ફગાવી દઈ આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
સમાધાન માટે 2 કરોડની ઓફર - રાજુ સોલંકી
જૂનાગઢની ફરિયાદ મામલે ભોગ બનનાર સંજુ સોલંકીના પિતા રાજુ સોલંકીએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને શરૂૂઆતમાં 50 લાખ પછી એક કરોડ અને ગઈકાલે સાંજે એવું કહેવામાં આવ્યું કે, મારા દીકરાએ ગુનો કર્યો છે તો તેને જેલમાં જવા દે તેની સામે વાંધો નહીં,. પણ આગળ કોઈ આંદોલન ન થાય તેના માટે હું તને 2 કરોડ રૂૂપિયા મારો નાનો ભાઈ સમજીને આપું છું તો તું સમાધાન કરી લે. જો કે, આ ઓફર કોણે કરી તેનું નામ રાજુ સોલંકીએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.