મોદી સાથે વન- ટુ-વન ડિબેટ માટે રાહુલ તૈયાર
લોકસભાની ચૂંટણીમાં માહોલ ગરમાઇ રહ્યો છે, બે પૂર્વ જજો અને એક વરીષ્ઠ પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સામસામે ડિબેટ માટે આમંત્રણ આપ્યું હતું, રાહુલ ગાંધીએ આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. સાથે જ પડકાર ફેંકતા કહ્યું હતું કે હું કોઇ પણ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિબેટ (ચર્ચા) કરવા માટે તૈયાર છું. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને સામસામે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર, દિલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજીત પી. શાહ અને વરીષ્ઠ પત્રકાર એન. રામ દ્વારા પત્ર લખીને આમંત્રણ અપાયું છે. જેનો હાલ રાહુલે સ્વીકાર કરી લીધો છે.
રાહુલ ગાંધીએ આ આમંત્રણને સ્વીકારતા કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે ડિબેટ માટે તૈયાર છું, પણ મને ખાતરી છે કે નરેન્દ્ર મોદી મારી સાથે ડિબેટ કરવા તૈયાર નહીં થાય. લખનઉમાં એક કાર્યક્રમમાં રાહુલે વધુમાં કહ્યું હતું કે હું 100 ટકા કોઇ પણ મંચ પર જનતાના મુદ્દાઓને લઇને નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. પરંતુ હું મોદીને જાણુ છું, તેઓ 100 ટકા મારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર નહીં થાય. જો મોદી મારી સાથે ડિબેટ કરવા તૈયાર ના હોય તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ડિબેટ કરી શકે છે.