બે તબક્કાના મતદાનમાં રાહુલ બાબાના સૂપડાં સાફ થઈ ગયા: શાહ
- દેશભરમાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા તમામ બેઠકોમાં ભાજપને વિજયી બનાવે, જામકંડોરણામાં અમિત શાહની જંગી જાહેરસભા
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણાં પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા હતા. 370ની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે આ ટર્મમાં પણ ગુજરાતની તમામ બેઠકો જીતવાનો નિર્ધાર પણ કર્યો છે.
અમિત શાહ આજે જામકંડોરણા બાદ ગુજરાતની ભરૂૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પરથી સભા કરવાના છે. જામકંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરુઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માગ્યું હતું. આ સાથે તેમણે દેશમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહની સભામાં કેસરિયા ખેસ સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. પોરબંદર બેઠક પરથી રમેશભાઈ ધડુક ચૂંટણીના મેદાનમાં છે અને અમિત શાહ તેમના મતવિસ્તારમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરી વિશેની વાત કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર વાકબાણ ચલાવ્યા હતા. પોતાના સંબોધનની શરુઆતમાં શાહે દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા.
તેમણે ગુજરાતી કહેવત ‘તેજીને ટકોર’નો ઉલ્લેખ કરીને પોરબંદરના લોકો ભાજપની સાથે હોવાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરીને તેમણે કરેલા કામોને યાદ કર્યા હતા.દેશમાં વિવિધ જગ્યાઓ પર પ્રચારની કામગીરી બાદ આજે હું પોરબંદર આવ્યો છું તેમ કહીને અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધીમાં 239 લોકસભા ક્ષેત્રોમાં જતા-જતા આજે હું પોરબંદર આવ્યો છું. બે તબક્કાનું મતદાન થઈ ગયું. આગળ તેમણે બે તબક્કાનું દેશમાં મતદાન થયું છે તેની વાત કહીને પરિણામ જાણવું છે? તેવો સવાલ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, બન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા..
તેમણે આગળ જણાવ્યું કે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.. જ્યાં જઈએ ત્યાં મોદી.. મોદી.. મોદી..ના નારા સાથે સ્વાગત થઈ રહ્યું છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે ફરી એકવાર મોદી સરકાર.. નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આખો દેશ એક થયો છે. 2014 અને 2019માં નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાતની મહાન જનતાએ 26માંથી 26 બેઠકો ભાજપની ઝોળીમાં નાખી હતી. આ વખતે તો એક ડગલું આગળ નીકળીને કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે. હવે બાકી રહેલી 25 બેઠકો જીતીને એટ્રીક કરીને નરેન્દ્ર ભાઈના નામે સંસદમાં મોકલવાની છે.