શિક્ષિકાના દુષ્કર્મ કેસમાં પ્રિન્સિપાલ નિર્દોષ : ફરિયાદ ખોટી હોવાનો ધડાકો
આણંદપર શાળાની ઘટનામાં સેસન્સ કોર્ટનો ચૂકાદો, ફરિયાદી વળતર નો ચૂકવેતો 30 દી’ની જેલ
આણંદપર શાળાના પ્રિન્સીપાલ (આચાર્ય) વિરૂદ્ધ શાળાની શિક્ષિકાએ કરેલ દુષ્કર્મ, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં કોર્ટે પ્રિન્સીપાલને નિર્દોષ ઠરાવી છોડી મુકાવા અને ખોટી ફરીયાદ કરવા બદલ ફરીયાદી શિક્ષિકાને ખર્ચ ચુકવવા તેમજ તપાસ કરનાર બન્ને પોલીસ સબ-ઈન્સપેકટર વિરૂૂધ્ધ ખાતાકીય તપાસ કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2015 માં આણંદપર(નવાગામ) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતુભાઈ રાયધનભાઈ ચાવડા (રહે. રાજકોટ) વિરૂૂધ્ધ તે શાળામાં જ ફરજ બજાવતી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. કે આચાર્યએ ફરીયાદી વિકલાંગ હોવાનુ જાણવા છતા બદનામ કરી દેવાની તથા બીજે બદલી કરી નાખવાની અને ફરીયાદીના પતિને તથા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે બિભત્સ અડપલા કરી ફરીયાદીની મરજી વિરૂૂધ્ધ શાળામાં તથા અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધેલ અને ફોનમાં પણ બિભત્સ વાતો કરી ધરાર સંબંધ રાખવા મજબુર કરતા હોવાની વિગતવારની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીને અટક કરી તપાસ પુર્ણ કરી મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. એસ.એમ.ચૌધરી અને એચ.ડી.સોલંકીએ આરોપી વિરૂૂધ્ધ રાજકોટની અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી પોતાના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત અદાલત સમક્ષ હાજર થયા હતા. આરોપીએ પોતાની સામેના તહોમતનો ઈન્કાર કરતા કેસ આગળ ચાલેલ હતો.
ફરીયાદપક્ષે આરોપી વિરૂૂધ્ધ કેસ સાબિત કરવા માટે ભોગ બનનાર ફરીયાદી, ફરીયાદીના પતિ, નિષ્ણાંત તબીબો, પંચો, પોલીસ અધિકારીઓ સહિતના સાક્ષીઓની જુબાની અદાલત સમક્ષ નોંધવામાં આવેલ હતી જયારે આરોપી તરફે ઉપરોકત તમામ સાક્ષીઓની લંબાણપુર્વકની ઉલટ તપાસ કરવામાં આવેલ હતી.
જયારે આરોપી તરફે તુષાર ગોકાણી દ્વારા એવી દલીલો કરાયેલ કે ફરીયાદી પોતે સ્ત્રી અને શારિરિક અસક્ષમ હોવા માત્રથી તે સત્ય બોલે છે તેવુ માની શકાય નહીં. ફરીયાદી તથા તેનો પતિ શાળાના સમય દરમ્યાન ગામ લોકો તથા અન્ય શિક્ષિકાઓ સાથે ગેરવર્તણૂક કરતા હોય આરોપીએ તેને જાહેરમાં ટપારતા ફરીયાદીનો પતિ કે જે વકીલ છે, પરંતુ પોતે વકીલ હોવાની હકીકત પોલીસ તથા અદાલત સમક્ષ સંતાડેલ છે, તેના સહયોગથી સંપુર્ણપણે કાલ્પનીક વાર્તા ઉભી કરી ફરીયાદ કરેલ છે. આ ફરીયાદીએ બદલી થયા બાદ અન્ય શાળાના પ્રિન્સીપાલ વિરૂૂધ્ધ પણ છેડતીની ફરીયાદ કરેલી છે એટલે કે ફરીયાદી પોતે સ્ત્રી અને વિકલાંગ હોવાનો ગેરલાભ લઈ પોતાનુ ધાર્યું કરાવવા ટેવાયેલ છે. ત્યારે આવી ઉભી કરેલી કાલ્પનીક ઘટનાના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ જયારે સોગંદ ઉપર જુબાનીમાં કબુલ કરતા હોય કે તેઓ પાસે ફરીયાદીના આક્ષેપોને સમર્થનકર્તા કોઈ જ પુરાવા મળી આવેલ નથી તેવા કિસ્સામાં આરોપીને સંપુર્ણપણે નિર્દોષ ઠરાવી છોડી મુકવા એડવોકેટ તુષાર ગોકાણી દ્વારા સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ સાથે રજુઆત કરવામાં આવી હતી. જે ધ્યાને લઇ રાજકોટના અધિક જિલ્લા ન્યાયાધીશ જે. ડી. સુથારે આરોપીને આક્ષેપિત તમામ ગુનાઓમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરી એક દાયકા સુધી ચાલેલ કાનુની જંગના અંતે અદાલતે ફરીયાદીને વળતર ચુકવવા અને ન ચુકવે તો કેદની સજા તેમજ તપાસ કરનાર બન્ને પી.એસ.આઈ. વિરૂૂધ્ધ રાજકોટ પોલીસ કમિશ્નરે જાતે ખાતાકીય તપાસ કરી તે તપાસનો રીપોર્ટ અદાલતન સમક્ષ રજુ કરવા હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી રતુભાઈ ચાવડા વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશિક અને ભુમિકા નંદાણી રોકાયા હતા.
બંને પીએસઆઇ વિરૂદ્ધ તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા પો.કમિશનરને આદેશ
આણંદપર(નવાગામ) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય વિરુદ્ધ શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નીંધવી હતી. જે ગુનામાં ફરિયાદી શિક્ષિકા પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા કોર્ટે આરોપી આચાર્યને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી ફરિયાદી શિક્ષિકાએ વળતર ચૂકવવા અને વળતર ન ચૂકવે તો સજાનો હુકમ તેમજ તપાસ કરનાર બન્ને પી.એસ.આઈ. વિરૂૂધ્ધ રાજકોટ પોલીસ કમિશ્નરે જાતે ખાતાકીય તપાસ કરી તે તપાસનો રીપોર્ટ અદાલતન સમક્ષ રજુ કરવા હુકમ કર્યો છે અને અદાલતે ચુકાદાની નકલ રાજયના ગૃહ વિભાગ, પોલીસ મહાનિર્દેશક, જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવા આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.