કપડાં સૂકવતી વખતે અકસ્માતે વીજશોક લાગતા સગર્ભાનું મોત
ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 12ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ
સાયલા તાલુકાના ડોળીયા ગામે રહેતી સગર્ભા પોતાના ઘરે ફળીયામાં કપડા સુકવતી હતી ત્યારે 11 કે.વી.ની લાઈનનો વાયર તુટીને દરવાજા પર પટકાયો હતો તે દરમિયાન સગર્ભાને વીજ શોક લાગતા બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ત્રણ માસુમ બાળાએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાયલા તાલુકાના ડોળીયા ગામે રહેતી ભાવિકાબેન લક્ષ્મણભાઈ ડોડીયા નામની 33 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં ઘરના ફળીયામાં કપડા સુકવતી હતી તે દરમિયાન વીજ શોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં ત્રણ પુત્રી છે અને હાલ સાત માસનો ગર્ભ હતો. ભાવિકાબેન ડોડીયા પોતાના ઘરે કપડા સુકવતા હતાં ત્યારે ઘરપરથી પસાર થઈ રહેલો 11 કે.વી.ની વીજલાઈનનો વાયર તુટીને દરવાજા પર પડતાં વીજશોક લાગવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.