ભગવાન શ્રીરામના નામ સાથે 50% મતનું ભાજપનું લક્ષ્ય
હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પરાજય આપ્યા બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી પણ શરૂૂ કરી દીધી છે. ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં આ માટે આક્રમક વ્યૂહનીતિ પણ ઘડવામાં આવી છે. તે અંતર્ગત દેશના તમામ નેતાઓને નવા લક્ષ્ય પણ આપવામાં આવ્યા છે.
2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકા મત મળ્યા હતા, જેમાં 10 ટકાનો વધારો કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્દેશ
ભાજપે તૈયાર કરી નવી વ્યૂહનીતિ! આ બેઠકમાં આગામી લોકોસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવવા મતની ટકાવારી 10 ટકા સુધી વધારવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ કરાયો છે. 2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકાથી વધુ મત મળ્યા હતા, પરંતુ આ વખત ભાજપ 35 કરોડ મત મેળવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યો છે. બીજી તરફ, 2019માં એનડીએ ગઠબંધનને કુલ 45 ટકા મત મળ્યા હતા. ભાજપ આ વખતે 50 ટકા સુધી લઈ જવા માગે છે. ભાજપ 2019માં 303 બેઠક જીતવામાં સફળ રહ્યો હતો અને હવે તેનું લક્ષ્ય 350 બેઠક જીતવાનું છે.
ભાજપની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ધાટન વિશે ખાસ ચર્ચા થઈ. કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરને લઈને વધુમાં વધુ માહિતી શેર કરવા અને તેના પર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું. પક્ષને વિશ્વાસ છે કે લોકસભા ચૂંટણીમાં રામ મંદિર તેમની તરફેણમાં એક મોટો મુદ્દો રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, પક્ષના અધિકારીઓને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાતા કાર્યક્રમોમાં વધુને વધુ લોકોને જોડવાનું પણ કહેવામાં આવ્યું છે. દાયકાઓથી કાયદાકીય વિવાદમાં અટવાયેલા આ મુદ્દાને ઉકેલવામાં વિપક્ષોએ અનેક અવરોધો ઊભા કર્યા હતા એ વાત લોકો સુધી પહોંચાડવાનો પણ તેમને નિર્દેશ કરવામાં આવ્યો છે.
59% સમર્થન સાથે પીએમ તરીકે મોદી પ્રથમ પસંદ: 32% રાહુલ ગાંધીના પક્ષે
સી વોટરે હાલમાં દેશભરમાં એક સર્વે કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે હજુ પણ નરેન્દ્ર મોદી પીએમ પદની પ્રથમ પસંદ છે. હિન્દી પટ્ટી રાજ્યોમાં તો પીએમ મોદી રાહુલ ગાંધી કરતા ખુબ આગળ છે. સર્વેના આંકડા જણાવે છે કે 59 ટકા લોકો હજુ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવા ઈચ્છે છે તો માત્ર 32 ટકા લોકો રાહુલ ગાંધીને આ પદ પર જોવા ઈચ્છે છે. તાજેતરમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે. તેવામાં આ ત્રણ હિન્દી પટ્ટી રાજ્યોમાં પણ માહોલ પીએમ મોદીના પક્ષમાં જોવા મળી રહ્યો છે. આ સમયે એમપીમાં 66 ટકા લોકો પીએમ મોદીને પ્રધાનમંત્રી જોવા ઈચ્છે છે તો રાહુલ ગાંધી માટે આ આંકડો 26 ટકા છે. આ રીતે છત્તીસગઢમાં 67 ટકા લોકો મોદીને સપોર્ટ કરી રહ્યાં છે તો 29 ટકા રાહુલ ગાંધીને પીએમ પદે જોવા મળે છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં નરેન્દ્ર મોદીને 65 ટકા સમર્થન છે, તો રાહુલ ગાંધી સાથે 32 ટકા લોકો જોવા મળી રહ્યાં છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી પ્રધાનમંત્રીના ઉમેદવાર કોને બનાવવા જોઈએ, તેને લઈને પણ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં અત્યારે રાહુલ ગાંધી આગળ જોવા મળી રહ્યાં છે. 34 ટકા લોકોનો મત છે કે રાહુલ ગાંધીને પીએમના ઉમેદવાર બનાવવા જોઈએ. તો બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, જેને 13 ટકા લોકો પીએમ તરીકે જોવા મળી રહ્યાં છે. તો કોઈનું નામ ન લેનારા લોકોનો આંકડો 34 ટકા ચાલી રહ્યો છે.