For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાંત આંદોલનમાં પોલીસે બળપ્રયોગ કરતા ઝપાઝપી-ટીંગાટોળી

05:18 PM Jun 25, 2024 IST | admin
શાંત આંદોલનમાં પોલીસે બળપ્રયોગ કરતા ઝપાઝપી ટીંગાટોળી

શાંતિપૂર્ણ બંધ કરાવતા કોંગ્રેસના 30 કાર્યકરોની અટકાયત થતાં ચક્કાજામ

Advertisement

બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરોને પોલીસે ઉપાડી લેતા વાતાવરણ તંગ, પોલીસ સામે આક્રોશ

ટીઆરપી ગેમઝોન આગકાંડની ઘટનાને એક માસ પૂર્ણ થતાં મૃતકોની શ્રધ્ધાંજલીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મામલે બંધનું એલાન અપાયું હોય સવારથી જ રાજકોટની મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહી હતી. ત્યારે કાલાવડ રોડ ઉપર કેટલીક દુકાનો ખુલી હોય તેને શાંતિપૂર્ણ રીતે બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ધરાર 30 જેટલા કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી. જેને લાઈને કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી. પીડીત પરિવારને ન્યાય માટે બંધનું એલાન અપાયું હોય જેમાં મોટાભાગના લોકો સહભાગી થયા હતાં. શાંતિપૂર્ણ રીતે બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના આગેવાનોને પોલીસે બળજબરીથી પીસીઆર વેનમાં બેસાડી દીધા હતાં. વાતાવરણ તંગ બન્યું હતું. અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી દીધા હતા અને થોડીવાર માટે આ મુદ્દો ભારે આક્રમક બન્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થતાં અન્ય કાર્યકરો રસ્તા ઉપર બેસી ચક્કાજામ કરતા કાલાવડ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વધારાની પોલીસ બોલાવી પડી હતી અને રોડ ઉપર બેસી ગયેલા કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકરને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં.
રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે આ ઘટનાને એક માસ પુર્ણ થતાં હવે કોંગ્રેસે આજે અડધા દિવસના બંધનું એલાન આપ્યું હોય જેમાં મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું હતું. મૃતકોને ન્યાય અને તેની આત્માની શાંતિ માટે કોંગ્રેસે કરેલી અપીલને વેપારીઓ અને શાળા-કોલેજના સંચાલકોએ માન્ય રાખી બંધને સમર્થન આપ્યું હતું. સવારથી બંધના એલાનના પગલે જ્યાં દુકાનો અને બજારો ખુલી હોય ત્યાં કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી બંધ કરાવવા માટેની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન રાજકોટના કાલાવડ રોડ ઉપર નકલંક ચા સહિતની દુકાનો ખુલી હોય જેને બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના અને એનએસયુઆઈના 30 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા બંધના એલાનને પગલે પોલીસ દ્વારા પણ સતર્ક બની શહેરભરમાં પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા બળજબરીથી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓના આદેશને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તકેદારીના ભાગરૂપે કોઈ બળજબરી પૂર્વક બંધ ન કરાવે તેની કાળજી રાખી હતી. ત્યારે કાલાવડ રોડ ઉપર શાંતિપૂર્ણ રીતે બંધ કરાવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ઉપાડી લેતા મામલો ઉગ્ર બની ગયો હતો અને આક્રમક રીતે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ સાથે બાથભીડી હતી. બન્ને વચ્ચે થયેલી ઝપાઝપીથી ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. જેને પગલે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને 6 જેટલી પીસીઆર કાલાવડ રોડ ખાતે દોડી ગઈ હતી.
પોલીસે કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર સામે દુકાન બંધ કરાવતા કોંગ્રેસના 8થી 10 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરતા અન્ય કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને રોષ પૂર્વક સુત્રોચ્ચારો કરી પોલીસવાન આગળ રસ્તામાં જ સુઈ ગયા હતાં જેના કારણે રસ્તો બ્લોક થઈ જતાં અન્ડરબ્રીજથી કાલાવડ રોડ તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતાં. શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત માટે માત્ર પીઆઈ અને ત્રણ માણસો પહોંચ્યા હોય જ્યારે કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા વધી જતાં વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી અને ટીંગાટોળી કરીને કોંગ્રેસના કાર્યકરોને ધરાર પોલીસવાનમાં બેસાડવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની આ કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. કાલાવડ રોડ ઉપર બનેલા આ બનાવથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ભાજપના ઈશારે કોંગ્રેસના કાર્યકરોને ધરાર અટક કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગાંધીગ્રામમાં અક્ષર મંદિર સ્કૂલ બંધ કરાવતા કોંગ્રેસના આગેવાનો

રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં તંત્રના પાપે લાગેલી ભીષણ આગમાં 27 માનવ જીંદગી બળીને ખાખ થઈ ગઈછે. ત્યારે આજે પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે તંત્રની ઘોર બેદરકારીના કારણે કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર બંધનું એલાન આપ્યું હતું. જેમાં સવારે ગાંધીગ્રામ અક્ષર મંદિરસ્કૂલ ચાલુ હોય સ્કૂલ સંચાલકોને વિનંતી કરતા સ્કૂલ બંધ કરી દેવામાં આવી હતી.
રાજકોટના નાનામવા પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં એક માસ પહેલા ભીષણ આગ લાગી હતી. જેમાં 9 બાળકો સહિત 27 વ્યક્તિ આગમાં ભડથુ થઈ ગયા હતાં. પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાની ભ્રષ્ટ નીતિના કારણે કોઈ પણ જાતના લાયસન્સ કે ફાયર સેફ્ટી વગર ધમધમતા ગેમઝોનમાં આગ લાગી હતી. જેમાં મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની બેદરકારી બહાર આવી હતી. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અલગ અલગ સીટ અને ગેમની તપાસ અર્થે રચના કરવામાં આવી હોય જેના તપાસનાં અહેવાલમાં મોટા માથાઓને ક્લિનચીટ આપી દેતા કોંગ્રેસ દ્વારા ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસીક પૂણ્યતિથિ નિમિતે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement