સુરેન્દ્રનગરની વડાપ્રધાનની સભામાં પરસોત્તમ રૂપાલાની સૂચક ગેરહાજરી
ક્ષત્રિય વિવાદ કારણભૂત કે અન્ય કોઇ બાબત? ભારે ચર્ચાઓ
લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી વડાપ્રધાનની સભામાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
રૂપાલા-ક્ષત્રિય વિવાદના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતની લોકસભાની અમુક બેઠકો ઉપર સમીકરણો બદલવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તેવા સમયે વડાપ્રધાનની સભામાં પરસોતમભાઈ રૂપાલાની ગેરહાજરીથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.
વડાપ્રધાને પણ સુરેન્દ્રનગર ખાતેની સભામાં ભાજપા સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને ભાવનગરના નિમુબેન બાંભણીયાને વિજયી બનાવવા અપીલ કરી હતી. જ્યારે રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલા ગેરહાજર હોવાથી તેનું નામ લધું ન હતું.
જોકે, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા સહિતના રાજકોટના નેતાઓ હાજર રહ્યા હતાં.