કોંગ્રેસને ઓક્સિજન: અમદાવાદના મોદી સ્ટેડિયમનું નામ બદલવા માગણી
સંસદના સત્રમાં ‘ઈન્ડિયા’ ગઠબંધન આ મુદ્દો ઉઠાવે: મનહર પટેલ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દસ વર્ષ બાદ કોંગ્રેસને એક બેઠક મળતા જ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. અને ધીરે ધીરે ભાજપને ભીડવવા માટે અસરકારક મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવાનો મુદ્દો ઉછાળ્યો છે અને ફરી આ સ્ટેડિયમનું નામ બદલવા માંગણી કરી છે.
કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનના તમામ સાંસદો પાસે મારી માંગ છે કે 18 મી સંસદમા પહેલી માંગ મૂકે. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદાર પટેલ નું નામ હટાવીને નરેન્દ્ર મોદી મૂકવામાં આવ્યું છે તે ગુજરાતની અસ્મિતા ઉપર વજ્ર ઘાત છે અને દેશના પનોતા પુત્ર સરદાર પટેલનું હળાહળ અપમાન થયુ છે જે ગુજરાતીઓ માટે અસહ્ય છે..માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પુન: સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ યથાવત કરવામાં આવે તેવી માંગ કરવામા આવે.અને સત્તાધારી પક્ષના તમામ સાંસદો આ માંગને સમર્થન કરે એવી આશા રાખુ છું. સાથોસાથ સમગ્ર દેશમા રાષ્ટ્રીય ધરોહરો /સ્વતંત્ર સેનાનીઓના કે શહીદોના નામ સાથે જોડાયેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ,યુનિ.,પોર્ટ-એરપોર્ટ-રેલ્વે સ્ટેશનો, સ્મારકો, યોજનાઓ, ભવનો,રોડ રસ્તાઓ કે સરકારી મિલકતો છે તેના ઉપરથી આ નામો કોઈપણ સંજોગોમાં હાટવવામા ન આવે તેવો સર્વાનુમતે સંસદમા ખરડો પસાર કરવામાં આવે તેવું મનહર પટેલે જણાવ્યું છે.