MSMEના કેસોનો નિકાલ કરવા લોકઅદાલતનું આયોજન
ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી એડિશનલ કલેકટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી તા.13,17 અને 27ના 100-100 કેસની સુનાવણી હાથ ધરશે; ટ્રાયલ બેઝમાં 25 કેસનો નિકાલ કરાયો
એમએસએમઈ લઘુ ઉદ્યોગો અને નાના ઉદ્યોગકારોને 45 દિવસમાં પેમેન્ટ કરવાનું ફરજિયાત કરતાં કેન્દ્ર સરકારના કાયદા અને નિયમની કડક અમલવારી કરવા માટે રાજકોટમાં આજથી એડીશ્નલ કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમીટીની રચના કરી લઘુઉદ્યોગોના 45 દિવસના પેમેન્ટની ભરપાઈ નહીં કરતાં વેપારીઓ સામે ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે એડીશ્નલ કલેકટર સમક્ષ પૈસા-લેણાના 25 કેસ મુકવામાં આવ્યા હતાં. જેનો નિકાલ થયા બાદ અન્ય 1800 કેસોનો નિકાલ કરવા માટે આગામી તા.13,17 અને 27 જુલાઈના રજાના દિવસે ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 100-100 કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા લઘુઉદ્યોગોનો વિકાસ થાય અને નાના એકમોના વેપારીઓને ઝડપથી પૈસા મળી રહે તે માટે 45 દિવસમાં પેમેન્ટ કરવાનો નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. દેશભરમાં નાના ઉદ્યોગકારોએ આ નવા કાયદાને આવકારીને કેન્દ્ર સરકારના પગલાંને સ્વિકારી લીધું છે ત્યારે અમુક ઉદ્યોગકારોએ આ નિયમ રદ કરવા માંગણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે 45 દિવસમાં પેમેન્ટ ફરજિયાત કરવાનો નિયમ રદ નહીં થાય તેવું જણાવ્યું હતું. બીજી બાજુ કેન્દ્ર સરકારના આદેશથી એડીશ્નલ ચેતન ગાંધીની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સરકારી વકીલ સહિતના પાંચ સભ્યોની બનેલી આ કામીટીમાં એમએસએમઈની હેઠળના 1800 કેસો મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર જિલ્લામાં લઘુઉદ્યોગકારો પાસેથી માલ લીધા બાદ 45 દિવસમાં પેમેન્ટ નહીં કરતાં 1800 થી વધુ કેસોનો ભરાવો થઈ જતાં આજથી આ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી છે. એડીશ્નલ કલેકટરના અધ્યયસ્થાને મળેલી કમીટીમાં ગઈકાલે 25 કેસા મુકવામાં આવ્યા હતાં. જેમાં 21 કેસના અરજદારો અને પક્ષકારો ગુજરાત બહારના હોય તેઓની સુનાવણી ઓનલાઈન કરવામાં આવી છે. સાંજ સુધીમાં આ 25 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એમએસએમઈના લેણા નીકળતાં પૈસાની 45 દિવસમાં ભરપાઈ ન કરી હોય તેવા કેસોમાં 50 લાખ કે તેથી ઓછાની લેણી રકમના કેસો જ એડીશ્નલ કલેકટર સમક્ષ મુકવામાં આવ્યા છે. એમએસએમઈના ટ્રાયલ બેઝ પર 25 કેસની સુનાવણી હાથ ધરાયા બાદ વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ 1800 જેટલા કેસોનો ભરાવો થયો હોય જેના ઝડપી નિકાલ માટે આગામી તા.13મી જુલાઈના 100 કેસ, 17મી જુલાઈના 100 કેસ અને 27મી જુલાઈના 100 કેસ હાથ ઉપર લીધા છે જેના માટે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
રજાના દિવસોમાં એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીના અધ્યક્ષ સ્થાને મળેલી કમીટીમાં ચેમ્બર ઓફ કોમર્સના બે સભ્યો એક સરકારી વકીલ સહિત પાંચ સભ્યોની કમીટી દ્વારા રજાના દિવસોમાં એમએસએમઈના કેસોનો નિકાલ લાવવા માટે આ આયોજન કર્યું છે. જેમાં ગુજરાત બહારના પક્ષકારો કે અરજદારોની ઓનલાઈન સુનાવણી હાથ ધરવામાં આવશે.