જેતપુરમાં મકાનનો સ્લેબ તૂટી પડતા એકનું મોત: નાસભાગ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિનું કાટમાળ હેઠળ દટાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
જેતપુરના બળદેવની ધાર વિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યાની આસપાસ મકાનનો જૂનો સ્લેબ તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એચાનક જ સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. જેના પગલે સ્લેબ હેઠળ એક વ્યક્તિ દટાઈ ગયો હતો. બનાવ સમયે આસપાસના રાહદારીઓમાં ભય સાથે નાસભાગ મચી ગઇ હતી. કાટમાળ તળે દટાયેલા આધેડની મરણચીસો તંત્ર પહોંચે તે પહેલા શાંત થઇ જતા સૌમા અરેરાટી ફેલાઇ હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ, નગર પાલિકા, મામલતદાર કચેરીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ક્રેઈનની મદદથી સ્લેબ હેઠળ દટાઈ ગયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ પ્રકાશ ધોરાળીયા (40) તરીકે થઈ છે. હાલ તો જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.