વાંકાનેરના શેખરડામાં જુની અદાવતમાં બે જુથ વચ્ચે અથડામણ : મહિલા સહિત 7ને ઈજા
બે દિવસ પૂર્વે સગીરને માર મારતાં બંને પરિવાર વચ્ચે વેરના બીજ રોપાયા’તા; ઈજાગ્રસ્તો સારવારમાં
વાંકાનેર તાલુકાના શેખરડા ગામે બે દિવસ પૂર્વે સગીરને માર મારવાની ઘટના બાદ બે પરિવાર વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. જે અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં મહિલા સહિત સાત વ્યક્તિને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના શેખરડા ગામે રહેતા બાબુ ગેલાભાઈ વાટુલીયા (ઉ.35) સપનાબેન મનસુખભાઈ વાટુલીયા (ઉ.20) પોતાના ઘર પાસે હતાં ત્યારે અમરશી, દિનેશ, વેલા અને ભુપત સહિતના શખ્સોએ તલવાર અને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં ભુપતભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.45) અને અશોક અમરશીભાઈ મકવાણા (ઉ.30), અમરશીભાઈ ટપુભાઈ મકવાણા (ઉ.75), દિનેશ અમરશીભાઈ મકવાણા (ઉ.39) અને વિનોદ ભલાભાઈ મકવાણા (ઉ.41) ઉપર બાબુ, મનસુખ, ગેલા અને પરબત સહિતના શખ્સોએ કુહાડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતા સહિત સાત ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં બે દિવસ પહેલા અમરશીભાઈના 17 વર્ષના પુત્ર જનકને માર માર્યો હતો. સગીરને માર મારવાની ઘટના બાદ બે પરિવાર વચ્ચે ચાલતી તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ સશસ્ત્ર અથડામણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.