હવે જમૈકામાંથી ભારતીય ઘુસણખોરો સાથેનું વિમાન ઝડપાયુ
દુબઈથી અમેરિકામાં ઘુસણખોરી કરે તે પહેલાં કેરેબિયન ટાપુમાં 172 ગુજરાતી-પંજાબી સહિત 253 મુસાફરોને અટકાવાયા
હોટેલમાં નજરકેદ રાખી તમામની પૂછપરછ, માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, વિદેશ મંત્રાલયનું સત્તાવાર મૌન
ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને પાંચ માસ પહેલા ફ્રાન્સથી ઘુસણખોરોની આખી ફલાઈટ ઝડપાયા બાદ હવે 172 જેટલા ગુજરાતી-પંજાબીઓ સહિત 253 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જતું એક વિમાન દક્ષિણ આફ્રિકાના દેશ જમૈકામાં ઝડપાયું છે.
દુબઈથી 253 લોકોને લઈને અમેરિકા જવા નીકળેલા આ શંકાસ્પદ વિમાનને જમૈકો એરપોર્ટ ખાતે અટકાવી દઈ તેમાં સવાર તમામ મુસાફરોને હોટલમાં નજરકેદ કરવામાં આવ્યા છે અને તેમનાં ડોકયુમેન્ટની ચકાસણી સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ 253 મુસાફરોને જમૈકામાં છોડી વિમાન ભેદી રીતે નાસી ગયાના અહેવાલો મળી રહ્યાં છે. જો કે, એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હોવા છતાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે હજુ સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વિદેશ જવાનો મોહ એક એવો મોહ છે જે અનેક પડકારો, સમસ્યાઓ સામે આવવા છતાં લોકોને છૂટતો નથી. તેના માટે ગમે તે કરી છૂટે છે. પછી એવી મુશ્કેલીઓમાં મૂકાઈ જાય કે જેમાંથી બહાર નીકળતા દમ નીકળી જતો હોય છે. વળી પાછો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખે આખું પ્લેન ભાડે કરીને ભારતીયોને અમેરિકામાં ઘૂસાડવાનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે.
આ પ્લેનમાં 253 લોકો સવાર હતા જેમાંથી 172 જેટલા ભારતીયો હતા અને દુબઈથી નીકળેલા તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ 6 દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ એક ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. જમૈકાના સ્થાનિક મીડિયા ૠહયફક્ષયનિા રિપોર્ટમાં નામ ન જણાવવાની શરતે એક ઈમિગ્રેશન અધિકારીએ એવું જણાવ્યું હતું કે જમૈકા આવવાનો તેમનો હેતુ ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો પરંતુ તેમની પાસે તો ફક્ત એક જ દિવસ ત્યાં રોકાવાનો ટ્રાવેલ પ્રોગ્રામ હતો. આ લોકોને હોટલમાં નજરકેદ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ ભારતીયોને લઈને આ ફ્લાઈટ દુબઈથી રવાના થઈ હતી અને ઈજિપ્તના કેરોમાં પણ ઉતરણ કર્યું હતું. આ ફ્લાઈટમાં ગુજરાતી-પંજાબી સહિત 172 ભારતીયો ઉપરાંત ત્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો પણ બેઠા હતા. તમામને લઈને ફ્લાઈટ કેરેબિયન ટાપુ જમૈકા પહોંચી જ્યાં અટકાવી દેવાઈ હતી. ફ્લાઈટ જર્મન કંપની (ઞજઈ)ની છે.
મીડિયા રિપોર્ટ મુજબ એવી પણ માહિતી સામે આવી રહી છે કે વાયા વાયા થઈને અમેરિકા ઘૂસવાની ફિરાકમાં પ્લેનમાં સવાર થયેલા લોકોમાંથી મોટા ભાગના ભારતીયો અને તેમાં પણ ઘણા ગુજરાતીઓ અને તે પણ ઉત્તર ગુજરાત સાઈડના હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં આ રીતે ઘૂસવાના પ્લાનિંગમાં કેટલાક ગુજરાતીઓ એજન્ટોની પણ ભૂમિકા સામે આવી હોવાનું કહેવાય છે.
ફ્રાન્સમાંથી પાંચ માસ પહેલાં આખી ચાર્ટર્ડ ફલાઈટ પકડાઈ હતી
પાંચેક મહિના પહેલા ફ્રાન્સમાં પણ આ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો. 303 ભારતીયોથી ભરેલા પ્લેનને રોકવામાં આવ્યું હતું. પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્યુલિંગ માટે રોકાતા ફ્રાન્સ ઓથોરિટીને શંકા ગઈ હતી. સમગ્ર તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. 303માંથી 276 લોકોને નિકારાગુઆને બદલે ભારત મોકલી દેવાયા હતા.