સચરાચર વરસાદથી સૌરાષ્ટ્રના 26 ડેમમાં નવાં નીરની આવક
શેત્રુંજીમાં 1168 ક્યુસેકની ધીંગી આવક, ભાદર-2માં 4 ફૂટ પાણી આવ્યું
સૌરાષ્ટ્રભરમાં સચરાચર વરસાદથી રાજકોટ અને ભાવનગર ઈરીગેશન સર્કલ હસ્તકના 26 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ગઈકાલ રાતથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જામી હતી. જેના પગલે રાત થી જ નદી નાળાઓ વહેવા લાગતા અનેક ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ થઈ હતી. રાજકોટના ધોરાજી નજીકના ભાદર-2 ડેમમાં 3.94 ફૂટ અને જેતપુર પાસે આવેલ છાપરવાડી-2 ડેમમાં 3.28 ફૂટ નવા પાણીની આવક થઈ હતી. સૌરાષ્ટ્રના મોટાડેમ ક્ષેત્રુંજીમાં 1168.99 ક્યુસેક પાણીની આવક થઈ હતી અને કાળુભાર ડેમમાં 641 ક્યુસેક પાણીની આવક થઈ હતી.
ગઈકાલના ભારે વરસાદથી રાજકોટ જિલ્લાના મોજ, ફોફળ, આજી-1, આજી-2, સુરવો, ન્યારી-2 ડેમમાં અડધા ફૂટ સુધીના નવા નીરની આવક થઈ હતી. મોરબી જિલ્લાના 10 ડેમમાંથી છ ડેમમાં ભારે વરસાદને પગલે નવા પાણીની આવક થઈ હતી. સૌથી વધુ ડેમી-2 સીંચાઈ યોજનામાં 2.62 ફૂટ નવા પાણીની આવક થઈ હતી.
દ્વારકા જિલ્લામાં ધી સિંચાઈ યોજનામાં સવાફૂટ જેટલું નવું પાણી આવતા ખેડુતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. 12 કલાકમાં ફક્ત દોઢ ઈંચ વરસાદ વરસતા ફક્ત ગરમીમાં રાહત જોવા મળી હતી. ગઈકાલના વરસાદના કારણે ઉપરવાસના ડેમમાં પાણીની આવક ન થઈ હોવાનું જાણવા મળેલ છે.આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. ભાવનગર સિંચાઈ હસ્તકના અલગ અલગ 58 ડેમોમાંથી 12 ડેમમાં વરસાદને પગલે જળસપાટીમાં વધારો નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સેત્રુંજી ડેમ પર 35 એમએમનો વરસાદ નોંધાતા કુલ 1168.99 ક્યુસેક પાણીની આવક થઈ હતી. બીજા નંબરે કાળુભાર ડેમમાં 641.72 ક્યુસેક, ઉબેણ ડેમમાં 490 ક્યુસેક, રંઘોળા 204 ક્યુસેક, હનોલ 102 ક્યુસેક, શાપુર ઓજત વીયરમાં 114.45 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના બીજા મોટા ડેમ સેત્રુંજીમાં પાણીની આવક થતાં 19.45 % ભરાયો હતો.