નવી ફાયર એનઓસી હવેથી ઓફલાઈન જ નીકળશે
ઓનલાઈન પ્રક્રિયામાં ક્વેરી અને ડોક્યુમેન્ટ અપલોડમાં સમય લાગતો હોવાથી સરકારે સૂચના આપી
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટનાબાદ સરકારે ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક ચેકીંગ કરવાની સૂચના આપી છે. જે અંતર્ગત મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં અત્યાર સુધીમાં 300થી વધુ ફાયર એનઓસી અને બીયુ વગરની મિલ્કતો સીલ કરી છે જેના લીધે નવી એનઓસી કઢાવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજીઓ ધડાધડ કરવાનું ચાલુ કરતા ઓનલાઈન પ્રક્રિયામાં ક્વેરી અને ડોક્યુમેન્ટ અપલોડમાં સમય લાગતો હોય તેમજ ફાયર વિભાગ દ્વારા સ્થળ વેરીફીકેશન પણ એોનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવતું હોય એનઓસી મળવામાં વિલમ થવાની સંભાવના ઉભી થતાં સરકારે હાલ પુરતું ઓનલાઇન નવી ફાયર એનઓસી પ્રકિયા બંધ કરી ફક્ત ઓફલાઈન જ ફાયર એનઓસી માટે ફાયર વિભાગનો સંપર્ક કરવાની સૂચના આપી છે.
અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ટાઉનપ્લાનીંગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા શહેરભરની હોસ્પિટલો શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, હોટલ, કોમ્યુનિટિ હોલ તેમજ કોમર્શીયલ ઈમારત તેમજ રહેણાકની બિલ્ડીંગો સહિતના એકમો કે જેઓ પાસે ફાયર એનઓસી ન હોય અથવા ફાયર એનઓસી રિન્યુ ન થઈ હોય તેવા એકમો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 300થી વધુ એકમો સીલ કરી દેવાયા છે. પરિણામે અરજદારોએ ફાયર એનઓસી રિન્યુ માટે ઓનલાઈન થતીં કામગીરીમાં અરજીઓ કરવામાં આવી રહી છે.
જ્યારે નિયમ મુજબ 500 ચો.મી.નું બાંધકામ અથવા 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા એકમો દ્વારા હવે નવી ફાયર એનઓસી મેળવવા માટે દોડાદોડી શરૂ કરી દીધી છે. જેમાં સરકારની સુચના મુજબ કતા. 16થી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં અરજીઓ અપલોડ કરવામાં આવતા નિયમોને આધીન સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની ક્વેરીઓ કાઢવામાં આવી રહી છે. તેવી જ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાતા અને કમ્પલીટ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવાની કામગીરીમાં પણ વીલંબ થવાની સંભાવના જોવાતા નવી ફાયર એનઓસી અનેક લોકોને સમયસર મળી શકે તેમ ન હોવાથી સરકારે હાલ પુરતું નવી ફાયર એનઓસી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરાવી ફક્ત નવી ફાયર એનઓસી માટે મનપાના ફાયર વિભાગનો સંપર્ક કરવાની સુચના આપી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ એકમો દ્વારા નવી ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અને આગામી દિવસોમાં વધુ અરજીઓ આવશે તેમ ફાયર વિભાગે જણાવ્યું હતું.