ગેરરીતિની આશંકાથી ‘નેટ’ની પરીક્ષા રદ, 11 લાખથી વધુ પરીક્ષાર્થીઓનો ફજેતો
‘નીટ’ના વિવાદ બાદ ‘નેટ’ની પરીક્ષાનું પેપર પણ લીડ થતાં એનટીએની નિયત ઉપર ઉઠતા સવાલો
એનટીએએ દેશના વિવિધ શહેરોમાં 18 જૂન-2024થી બે પાળીમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં યુજીસી-નેટ જૂન-2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે ગૃહમંત્રાલયને પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પહેલા NEETની પરીક્ષામાં પણ છબરડાં સામે આવ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુજીસી-નેટની જેમ નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા લેવામાં આવે છે.
શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો છે કે, યુજીસી-નેટ જૂન 2023ની પરીક્ષા રદ કરવામાં આવશે. હવે નવેસરથી પરીક્ષાનું આયોજન કરી અલગથી માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, દેશભરના 317 શહેરોમાં, 1205 પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-2024ની પરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટનો સમય સવારે 9.30 કલાકથી બપોરે 12.30 કલાક અને બીજી શિફ્ટનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જNEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (ગઝઅ) દ્વારા કરાયું હતું, ત્યારે હવે ગઝઅની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-2024ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે.