MDH અને એવરેસ્ટ મસાલા પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે.
નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે MDH અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે.
કડક પગલાં લેતા, બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA)એ કહ્યું છે કે તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે, જેમાં ઇથિલિન ઓક્સાઈડ પણ સામેલ છે.
ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. MDH અને એવરેસ્ટ મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
સિંગાપોર અને હોંગકોંગે પણ પ્રતિબંધ મૂક્યો હતો
હોંગકોંગ બાદ સિંગાપોરની ફૂડ એજન્સી (SFA)એ પણ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર હાલ માટે પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કર્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે ફિશ કરી મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ નિર્ધારિત માત્રા કરતાં ઘણું વધારે છે. એજન્સીનું કહેવું છે કે હાલમાં ઓછી માત્રામાં ઇથિલિન ઓક્સાઈડથી કોઈ ખતરો નથી, પરંતુ લાંબા ગાળાના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.