કાશીમાં મહાદેવના આશીર્વાદથી ચારેબાજુ વિકાસના ડમરું વાગે છે: વડાપ્રધાન મોદી
પીએમ મોદી તેમના વારાણસી પ્રવાસના બીજા દિવસે શુક્રવારે સવારે કાશી હિન્દુ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીંના સ્વતંત્રતા ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કાશી સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સાંસદ ફોટોગ્રાફી સ્પર્ધા, સાંસદ સંગીત સ્પર્ધા, સાંસદ જ્ઞાન સ્પર્ધા સહિત અન્ય શ્રેણીઓમાં આયોજિત સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો અને ચંદ્રકો આપ્યા હતા.
તેમણે પોતાના સંબોધનની શરૂૂઆત નમ: પાર્વતી પતયે હર હર મહાદેવથી કરી હતી. તેમણે કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે, આજે કાશીની તે શક્તિ અને સ્વરૂૂપ ફરી સુધરી રહ્યું છે. આ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. કાશીમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની સંપૂર્ણ માહિતી પર આજે અહીં બે પુસ્તકો પણ લોન્ચ કરવામાં આવ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા માત્ર સાધન છીએ, કાશીમાં જે કરે છે તે મહાદેવ છે. જ્યાં જ્યાં મહાદેવના આશીર્વાદ હોય ત્યાં તે ધરતી સમૃદ્ધ બને છે. કાશી એ માત્ર આપણી આસ્થાનું તીર્થસ્થાન નથી, તે ભારતની શાશ્વત ચેતનાનું જાગૃત કેન્દ્ર છે. તેમણે કહ્યું, એક સમય હતો જ્યારે ભારતની સમૃદ્ધિની વાર્તા આખી દુનિયામાં કહેવામાં આવતી હતી. તેની પાછળ માત્ર ભારતની આર્થિક તાકાત જ ન હતી. સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ પણ હતી.
કાશી જેવા આપણા તીર્થસ્થાનો અને વિશ્વનાથ ધામ જેવા આપણા મંદિરો રાષ્ટ્રની પ્રગતિ માટે યજ્ઞ સ્થાનો હતા. અહીં સાધના કરવામાં આવી હતી તેમજ ચર્ચાઓ પણ યોજાઈ હતી. સંવાદો અને સંશોધનો પણ અહીં થયા.
મોદીએ ંબોધનમાં કહ્યું કે કાશી શિવની પણ નગરી છે, તે બુદ્ધના ઉપદેશોની પણ ભૂમિ છે. કાશી જૈન તીર્થંકરોનું જન્મસ્થળ પણ છે અને આદિ શંકરાચાર્યે પણ અહીંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર દેશમાંથી અને દુનિયાના ખૂણે ખૂણેથી લોકો જ્ઞાન, સંશોધન અને શાંતિની શોધમાં કાશી આવે છે. દરેક પ્રાંત, દરેક ભાષા, દરેક બોલી, દરેક રિવાજના લોકો કાશીમાં આવીને વસ્યા છે. જ્યાં આવી વિવિધતા હોય ત્યાં નવા વિચારો જન્મે છે. વિશ્વનાથ ધામ કાશી તમિલ સંગમ અને ગંગા પુષ્કરાલુ મહોત્સવ જેવા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો પણ ભાગ બની ગયું છે. નવી કાશી નવા ભારતની પ્રેરણા તરીકે ઉભરી આવી છે. હું આશા રાખું છું કે અહીંથી આવનારા યુવાનો સમગ્ર વિશ્વમાં ભારતીય જ્ઞાન, પરંપરા અને સંસ્કૃતિના ધ્વજવાહક બનશે.
મોદીએ અડધી રાત્રે કાશીમાં કર્યુ રસ્તાઓનું નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. તે પછી તેમણે રોડ શો પણ કર્યો હતો તેમના વાહનોનો કાફલો શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર થંભી ગયો, જ્યાંથી પીએમ મોદીએ ફોર લેનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હર હર મહાદેવના નારા લાગ્યા હતાં.