રાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતી
દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર બે વર્ષ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. ધનખડે રાષ્ટ્રપતિ ડો. દ્રૌપદી મુમૂને ને લખેલા પત્રમાં પોતે સ્વાસ્થ્યને પ્રાથમિક્તા આપીને અને ડોક્ટરની સલાહનું પાલન કરીને તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી રહ્યા હોવાનો દાવો કર્યો છે પણ વિપક્ષોને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં ધનખડના અણધાર્યા રાજીનામાની પાછળ ઘણાં રહસ્યો છૂપાયેલાં હોવાનો દાવો કર્યો છે.
મજાની વાત પાછી એ છે કે, કોંગ્રેસ અત્યાર લગી ધનખડને પક્ષપાતી અને લોકશાહીના સિદ્ધાંતોને મજાકરૂૂપ બનાવી દેનારા સભાપતિ ગણાવતી હતી. ધનખડ આઝાદ ભારતના સંસદીય લોકશાહીના 72 વર્ષના ઇતિહાસમાં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમને હોદ્દા પરથી દૂર કરવા માટે તેમની સામે ઈમ્પિચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષો ડિસેમ્બર 2024માં ધનખડ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા. આ ઈમ્પિચમેન્ટ મોશનને પછીથી ટેક્નિકલ કારણોસર નકારી કાઢવામાં આવી હતી પણ કોંગ્રેસ સહિતના વિપક્ષે ધનખડ સામે પક્ષપાતી હોવાનો આક્ષેપ મૂકીને કહ્યું હતું કે, ધનખડ રાજ્યસભાના ચેરપર્સન તરીકે નહીં પણ ભાજપના નેતા તરીકે વર્તીને વિપક્ષના અવાજ અને તેમના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી દે છે. હવે એ જ કોંગ્રેસ કહી રહી છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના હિતમાં ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ.
કોંગ્રેસના કહેવા પ્રમાણે ધનખડ ઉપરાષ્ટ્રપતિપદે ચાલુ રહેશે તો દેશના ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે. બીજા વિપક્ષી સાંસદોએ પણ ધનખડના રાજીનામા પાછળ ભેદભરમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે આખો દિવસ કામ કર્યા પછી ધનખડે રાજીનામું ધર્યું તેના કારણે પણ વિપક્ષોને મોકો મળી ગયો છે. ધનખડનાં રાજકીય નિવેદનોનાં કારણે ભારે વિવાદો થયા હતા. ધનખડ મોદી સરકારની ચાપલૂસી માટે ન્યાયતંત્રને બિનજરૂૂરી વિવાદોમાં ઢસડી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા પણ તેનાથી ડગ્યા વિના ધનખડે બેફામ નિવેદનો કરતાં જ રહ્યા હતા. ભાજપની ચાપલૂસીમાં ધનખડ એ હદે લિપ્ત થઈ ગયેલા કે, ઘણા તો તેમને ભાવિ રાષ્ટ્રપતિ માનવા માંડેલા. આ કારણે જ હવે અચાનક તેમને વૈરાગ્ય આવી ગયો ને આરોગ્યની ચિંતા થઈ આવી એ વાત લોકોના ગળે ઉતરતી નથી પણ શું થાય?