પાણી પહેલાં પાળ; ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઇડલાઇન
કોમી રમખાણો, સાંપ્રદાયિક હિંસા પાછળના 13 કારણો દર્શાવાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભીડને નિયંત્રિત કરવા માટે નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. આ નવા નિયમોનો હેતુ વિરોધ પ્રદર્શનો, મોટા આયોજનો, કુંભ જેવા મેળા, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ધાર્મિક પ્રોગ્રામ અને બાબાઓના પ્રવચન વગેરેનું સંચાલન કરવાનો છે. આ ઉપરાંત, સાંપ્રદાયિક રમખાણો, વિદ્યાર્થીઓના પ્રદર્શનો અને સોશિયલ મીડિયા દ્વારા ફેલાતા જનાક્રોશને પણ નિયમમાં આવરી લેવાયા છે.
ગૃહ મંત્રાલયે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખી આ ગાઈડલાઈન બનાવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં અફવાઓ ખૂબ ઝડપથી ફેલાય છે, જેના કારણે કોઈ મોટી ઘટના બનવાની સંભાવના વધી જાય છે. ત્યારે ભીડની નવી માનસિકતા પર રિસર્ચ કરવામાં આવ્યું છે અને તે મુજબ ક્રાઉડ કંટ્રોલ એન્ડ માસ ગેધરિંગ મેનેજમેન્ટ નામના નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.
આ નવી ગાઈડલાઈન બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં અંધાધૂંધી સમયે, અરાજક સભાઓ અને દેખાવો દરમિયાન કંટ્રોલ કેવી રીતે મેળવવું, તેના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એટલું નહીં તેમાં સોશિયલ મીડિયા પર મેનેજમેન્ટ અને તેના જવાબમાં ઉપાયો પણ સામેલ છે.
ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓની ભીડ નાની ઉશ્કેરણીના કારણે પણ તોડફોડ અથવા લૂંટફાટ કરી શકે છે. આવી સ્થિતિમાં સંયમ અને ધીરજને સફળતાની સૌથી મોટી ચાવી ગણવામાં આવી છે.ગાઈડલાઈનમા સ્પષ્ટ કહેવાયું છે કે, 22 ટકાથી 40 ટકા મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા અને રમખાણો થવાની સંભાવના વધુ હોય છે.
ગાઈડલાઈનમાં 13 મોટા કારણો ગણાવવામાં આવ્યા છે, જે સાંપ્રદાયિક હિંસાને ભડકાવી શકે છે અને આ કારણો પર પોલીસે ખાસ ધ્યાન આપવાની જરૂૂર છે આવા કારણોમા વ્યક્તિઓ અથવા જૂથો વચ્ચેના અંગત વિવાદ ઉભો થવો , મસ્જિદ સામે મોટા જોરશોરથી સંગીત વગાડવું, ધાર્મિક સ્થળો અથવા તેની આસપાસની જમીન પર દબાણ કરવું , બીજા સમુદાયના બહુમતીવાળા વિસ્તારમાંથી અથવા ધાર્મિક સ્થળ પાસેથી સરઘસ કાઢવુ, મહિલાઓ અથવા છોકરીઓની છેડતી, બે અલગ સમુદાયના યુવક-યુવતીના લગ્ન, ગૌહત્યાની ઘટના, હોળીમાં અન્ય સમુદાયના લોકો પર બળજબરીથી રંગ નાખવો, ગલી-મોહલ્લાની ક્રિકેટ મેચ અથવા રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ટીમોના સમર્થન મામલે વિવાદ, બીજા સમુદાયના નેતાઓની પ્રતિમાઓનું અપમાન, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અન્ય સમુદાયના નેતાઓનું અપમાન, બીજા જિલ્લાઓ, રાજ્યો અથવા દેશોના મુદ્દાઓ પર સાંપ્રદાયિક તણાવ અને ધર્માંતરણને કારણે હિંસા નો સમાવેશ થાય છે