પક્ષપલટો કરનારા જૂથને અસલી પાર્ટીની માન્યતા મળે એ મતદારોની મજાક: સુપ્રીમ
- અજિત પવાર જૂથને અસલી પાર્ટી તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સવાલ
અજિત અને શરદ પવાર જૂથ વચ્ચે ચાલી રહેલી સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે- કોઈ પક્ષ પલટો કરે છે અને પછી પક્ષ બદલનાર ગ્રૂપને જ અસલી પાર્ટી તરીકેની માન્યતા મળી જાય છે. સુપ્રીમ કોર્ટની આ પ્રકારની પ્રવૃત્તિની નિંદા કરી અને પૂછ્યું- શું આ મતદાતાઓ સાથે મજાક નથી? સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથ તરફથી કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પંચના 6 ફેબ્રુઆરીએ કરેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં પંચે પાર્ટીનું નામ અને ચિન્હ અજિત જૂથને આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે- ચૂંટણી પંચે પોતાનો નિર્ણય ધારાસભ્યોની સંખ્યાના આધારે કર્યો છે જ્યારે સંગઠનાત્મક શક્તિને સાઈડલાઈન કરી છે. આ સ્થિતિ બંધારણની દસમી અનુસૂચીનું પાલન નથી કરતી.આ પહેલા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી બેંચે પણ અસલી શિવસેનાની પસંદગીને લઈને ધારાસભ્યોની સંખ્યાના આધારે રાખવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
10 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં નિર્ણય લેતા સ્પીકર નારવેકરે માન્યું હતુંકે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળું જૂથ જ અસલી શિવસેના છે કેમકે 21 જૂન 2022નાં રોજ તેમની પાસે શિવસેનાના 54માંથી 37 ધારાસભ્યોની બહુમતી છે. હવે શરદ પવાર જૂથ એનસીપી (શરદચંદ્ર પવાર)એ ચૂંટણી પંચ દ્વારા અજિત પવાર જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર મંગળવારે સુનાવણી કરતા ન્યાયાધીશ જે વિશ્વનાથને કહ્યું કે- જ્યારે ચૂંટણી પંચ કોઈ જૂથને સંગઠનાત્મક તાકાતના આધારે જ નહીં પણ ધારાસભ્યોની સંખ્યાના આધારે માન્યતા આપે છે તો શું તે વિભાજનને માન્યતા નથી આપતા? જે બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત સ્વીકૃત નથી. જસ્ટિસે વધુમાં કહ્યું- આ રીતે તમે પક્ષ પલટો કરાવી શકો છે અને પાર્ટીના ચિન્હ પર દાવો કરી શકો છો. શું આ મતદાતાની સાથે મજાક નથી?
શરદ પવાર જૂથને આશંકા છે કે ઘડિયાળ ચૂંટણી ચિન્હથી મતદાતાઓમાં ભ્રમની સ્થિતિ બનશે અને તેઓ પોતાના પસંદગીના ઉમેદવારોને વોટ નહીં આપી શકે. જો કે સુપ્રીમ કોર્ટે શરદ જૂથની અરજી ફગાવી દીધી અને નિર્ણય અજિત પવારના પક્ષમાં આપ્યો.