મતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડી
12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને ભાજપને ફાયદો કરાવવા માટે થતો હોવાનો કોંગ્રેસ, શિવસેના (UBT), AAPનો આક્ષેપ
ગઇકાલે ભારતીય ચૂંટણી પંચ (ECI ) દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (SIR) ના બીજા તબક્કાની જાહેરાત કર્યા પછી વિપક્ષે તેના પર તીવ્ર હુમલો કર્યો, તેને શાસક ભાજપને ફાયદો પહોંચાડવા માટે રચાયેલ મત ચોરી કવાયત ગણાવી હતી.
અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જાહેરાત કરી હતી કે SIRનો બીજો તબક્કો 51 કરોડ મતદારોને આવરી લેશે અને નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. બીજો તબક્કો 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે. SIR ખાતરી કરશે કે કોઈ લાયક મતદાર બાકાત ન રહે અને કોઈ અયોગ્ય મતદાર મતદાન યાદીમાં શામેલ ન થાય. તેમણે ઉમેર્યું કે ગણતરી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂૂ થશે, ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરે પ્રકાશિત થશે અને અંતિમ યાદી 7 ફેબ્રુઆરી, 2026 સુધીમાં બહાર પાડવામાં આવશે. ચરણ 2 હેઠળ આવરી લેવામાં આવેલા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. કુમારે એ પણ સ્પષ્ટતા કરી કે 2026 માં ચૂંટણી યોજાનારી આસામમાં અલગ નાગરિકતા જોગવાઈઓને કારણે અલગ SIR કવાયત હાથ ધરવામાં આવશે.
તીવ્ર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ECI મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરી રહી છે. એકસ પરની એક પોસ્ટમાં, પાર્ટીએ કહ્યું, ચૂંટણી પંચ હવે 12 રાજ્યોમાં મત ચોરીનો ખેલ રમવા માટે તૈયાર છે. SIR ના નામે, બિહારમાં 6.9 મિલિયન મત કાપવામાં આવ્યા. હવે, 12 રાજ્યોમાં કરોડો મત કાપવામાં આવશે.
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ એક ડગલું આગળ વધીને ચૂંટણી પંચ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી અને જણાવ્યું હતું કે બોગસ મતદારોની ભ્રષ્ટ પ્રથા માટે ચૂંટણી કમિશનર સામે કેસ નોંધવો જોઈએ. લોકશાહીમાં મતદારો સરકાર પસંદ કરે છે, પરંતુ આજે સરકાર મતદારોને પસંદ કરે છે.
SIR લોકશાહી વિરુદ્ધનું કાવતરું છે: સ્ટાલિન
તામિલનાડુના મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને પણ ચોમાસાની ઋતુ દરમિયાન SIRનું સમયપત્રક બનાવવા બદલ ECI પર પ્રહારો કર્યા. ચૂંટણીના થોડા મહિના પહેલા અને ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરના ચોમાસાના મહિનાઓ દરમિયાન ખાસ સઘન સુધારા કરવાથી ગંભીર વ્યવહારુ મુશ્કેલીઓ આવે છે. ઉતાવળ અને અપારદર્શક રીતે SIRનું સંચાલન કરવું એ નાગરિકોના અધિકારો છીનવી લેવા અને ભાજપને મદદ કરવા માટે ECI દ્વારા કરવામાં આવેલ કાવતરું સિવાય બીજું કંઈ નથી. બિહારમાં, મોટી સંખ્યામાં મહિલાઓ, લઘુમતીઓ અને જઈ અને જઝ સમુદાયના લોકોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, અને પારદર્શિતાના અભાવે લોકોના મનમાં ગંભીર શંકાને વેગ આપ્યો છે. સ્ટાલિને જાહેરાત કરી કે 2 નવેમ્બરે ચેન્નાઈમાં આ મુદ્દા પર ચર્ચા કરવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા માટે એક સર્વપક્ષીય બેઠક યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપ અને પીએમ મોદીના એજન્ટની જેમ કામ કરે છે: AAP
AAP રાજ્યસભાના સાંસદ સંજયસિંહે PTI ને જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપ અને પીએમ મોદીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ઇસી ચીફ જ્ઞાનેશકુમાર નરેન્દ્ર મોદીની જેમ જ જૂઠા છે. તેઓ ભાજપના એજન્ટ છે. દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી વ્યક્તિ મુખ્ય ચૂંટણી કમિશનર છે.
