ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે
રાજીનામા અંગે વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલો, રાજયસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠક બાદ નવાજૂની થયાની ચર્ચા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે. તેમનું રાજીનામું આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે.આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી નહોતી. જેડીયુના સાંસદ હરિવંશે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂૂ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જગદીપ ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું પાછું ખેંચશે નહીં તેમજ તેઓ વિદાય સમારંભમાં પણ હાજરી આપશે નહીં.
દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 74 વર્ષીય ધનખરનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. તેમણે 10 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ભગવાન આશીર્વાદ આપશે તો હું ઓગસ્ટ 2027માં નિવૃત્ત થઈશ.
વિપક્ષ જગદીશ ધનખરના ઉપરાષ્ટ્રપતિપદ પરથી અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું, આ અણધાર્યા રાજીનામામાં દેખીતી વાત કરતાં ઘણું બધું છે. પીએમ મોદીએ ધનખરને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ. આ રાષ્ટ્રીય હિતમાં રહેશે. ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે.
શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ કહ્યું, સ્વાસ્થ્યના કારણસર ઉપરાષ્ટ્રપતિના રાજીનામાના સમાચાર ચિંતાજનક છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો અને એ જ દિવસે તેમનું રાજીનામું આશ્ચર્યજનક છે. આ સરકારમાં શું ચાલી રહ્યું છે? જો સ્વાસ્થ્ય ચિંતાનો વિષય હોત તો રાજીનામું સત્રના થોડા દિવસ પહેલાં અથવા પછી આપી શકાયું હોત.
નડ્ડા-રિજ્જિુ બેઠકમાં હાજર રહયા નહીં અને જાણ પણ ન કરતા ધનખડ નારાજ હતા, બપોરે 1થી 4.30 વચ્ચે કંઇક ગંભીર બન્યું: જયરામ રમેશ
વિપક્ષ રાજીનામા પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે કહ્યું 21 જુલાઈના રોજ બપોરે 12:30 વાગ્યે જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિ (BAC) ની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ સહિત મોટા ભાગના સભ્યો હાજર હતા. ટૂંકી ચર્ચા બાદ સમિતિની આગામી બેઠક ફરીથી 4:30 વાગ્યે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો સાંજે 4:30 વાગ્યે સમિતિના સભ્યો ધનખરજીની અધ્યક્ષતામાં ફરી એક બેઠક માટે ભેગા થયા. બધા નડ્ડા અને રિજિજુની રાહ જોતા હતા, પરંતુ તેઓ આવ્યા નહીં. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ધનખરજીને વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી ન હતી કે બંને મંત્રીઓ બેઠકમાં હાજરી આપશે નહીં. સ્વાભાવિક રીતે તેમને આ વાતનું ખરાબ લાગ્યું અને તેમણે બીએસીની આગામી બેઠક આજે બપોરે 1 વાગ્યા સુધી મુલતવી રાખી. એ સ્પષ્ટ છે કે ગઈકાલે બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યાની વચ્ચે કંઈક ગંભીર ઘટના બની હશે, જેના કારણે જેપી નડ્ડા અને કિરણ રિજિજુ જાણીજોઈને સાંજની બેઠકમાં હાજર રહ્યા નહોતા. હવે ખૂબ જ ચોંકાવનારું પગલું ભરતા જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આનું કારણ પોતાની નાદુરસ્ત તબિયતને ગણાવ્યું છે. આપણે આનું સન્માન કરવું જોઈએ, પરંતુ સત્ય એ છે કે આની પાછળ કેટલાંક મોટાં કારણો છે.