બાહુબલી મુખ્તાર અન્સારીના મૃત્યુ પછી યુપી એલર્ટ
- ગઇરાતે હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાના સમાચાર પ્રસરતાં ત્રણ જિલ્લામાં 144મી કલમ: માફિયા ડોન 8 કેસમાં જેલસજા ભોગવતો હતો, બીજા 60થી વધુ કેસ પેન્ડિંગ હતા
માફિયા મુખ્તાર અંસારીનું અવસાન થયું છે. મુખ્તાર અંસારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડોકટરોની ત્રણ પેનલ બાંદા મેડિકલ કોલેજમાં જ મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે.
પૂર્વ સાંસદને બે દિવસ પહેલા પેટમાં ગેસ અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાંદા જેલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાંદાના જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્તાર અંસારીના મોટા ભાઈઓ અફઝલ અંસારી અને શિવગત ઉલ્લાહ અંસારી બાંદા પહોંચી ગયા છે. મુખ્તારનું પોસ્ટમોર્ટમ વીડિયો કેમેરામાં કરવામાં આવ્યું હતું. આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ મુખ્તારના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
સાથે જ યુપીના તમામ જિલ્લાઓમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. મુખ્તાર અંસારીના મોત બાદ પોલીસ સડકો પર છે. બાંદાથી ગાઝીપુર સુધી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે સાવચેતીના પગલાં શરૂૂ કર્યા છે. મુખ્તાર અન્સારીનો પરિવાર રસ્તામાં છે અને વહેલી સવારે બાંદા પહોંચે તેવી ધારણા છે.
હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજ પ્રશાસને 63 વર્ષીય મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ કરતું મેડિકલ બુલેટિન બહાર પાડ્યું છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર, મુખ્તાર અંસારીને બેભાન અવસ્થામાં બાંદા મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. 9 ડોક્ટરોની ટીમે મુખ્તાર અંસારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને બચાવી શકાયા નહોતા. મુખ્તાર અંસારીના મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલો અન્સારી 2005થી જેલમાં છે. યુપીની વિવિધ અદાલતો દ્વારા તેને 8 કેસોમાં સજા કરાઇ હતી અને 60 થી વધુ ગુનાહીત કેસ પેન્ડીંગ હતા. યુપી પોલીસે જાહેર કરેલા 66 ગેંગસ્ટરની યાદીમાં તેનું નામ હતું.
પિતાને ધીમું ઝેર આપ્યાનો પુત્ર ઉમર અન્સારીનો ફરી આક્ષેપ
મુખ્તાર અંસારીના મૃત્યુ પર તેમના પુત્ર ઉમર અંસારીએ વહીવટીતંત્ર પર તેમના પિતા મુખ્તારને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો છે. ઉમર અંસારીએ કહ્યું કે મારા પિતાને તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તે ન્યાયતંત્રનો સંપર્ક કરશે. અમને આમાં પૂરો વિશ્વાસ છે. ઉમર અંસારીએ કહ્યું કે મને વહીવટીતંત્ર તરફથી કંઈ કહેવામાં આવ્યું ન હતું, મને મીડિયા દ્વારા આ વિશે જાણવા મળ્યું. પરંતુ હવે આખો દેશ બધુ જાણે છે. મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીએ કહ્યું કે બે દિવસ પહેલા હું તેને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. ઉમર અંસારીએ કહ્યું કે અમે સ્લો પોઈઝન આપવાના આરોપમાં આ પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહીશું. તેને 19 માર્ચે રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું.