માલેગાંવ કેસમાં ભાગવતની ધરપકડ માટે દબાણ હતું
એટીએસના પૂર્વ અધિકારીએ દાવો કરતાં કહ્યું, સંઘ વડાની ધરપકડનો આદેશ ભગવો આતંકવાદ સ્થાપિત કરવાનો હતો
મહારાષ્ટ્રમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ના ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે તેમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની ધરપકડ કરવા માટે દબાણ હતું અને તેમને આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
નીચલી અદાલત દ્વારા ભૂતપૂર્વ BJP સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને આ કેસમાં નિર્દોષ છોડી મૂકવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, નિવૃત્ત મહારાષ્ટ્ર ATS ઇન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે કહ્યું કે ભાગવતની ધરપકડ કરવાનો આદેશ ભગવા આતંકવાદ સ્થાપિત કરવાનો હતો.તેમણે સોલાપુરમાં કહ્યું કે કોર્ટના નિર્ણયથી ATSની છેતરપિંડીનો ખંડન થયું છે.
શરૂૂઆતમાં આ કેસની તપાસ ATS દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) દ્વારા લેવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીનું નામ લેતા મુજાવરે કહ્યું, આ નિર્ણયથી નકલી અધિકારી દ્વારા કરવામાં આવતી નકલી તપાસનો પર્દાફાશ થયો છે.
તેમણે કહ્યું કે તેઓ 29 સપ્ટેમ્બર, 2008ના માલેગાંવ વિસ્ફોટોની તપાસ કરી રહેલી ATS ટીમનો ભાગ હતા,
તેમણે દાવો કર્યો કે તેમને મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, હું કહી શકતો નથી કે ATS એ તે સમયે શું તપાસ કરી હતી અને શા માટે... પરંતુ મને રામ કાલસાંગરા, સંદીપ ડાંગે, દિલીપ પાટીદાર અને RSS વડા મોહન ભાગવત જેવા વ્યક્તિત્વો વિશે કેટલાક ગુપ્ત આદેશો આપવામાં આવ્યા હતા.
આ બધા આદેશો એવા નહોતા કે તેનું પાલન કરી શકાય.
આદેશોનું પાલન ન કરવા બદલ મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો
મુજાવરે કહ્યું કે હકીકતમાં, તેમણે તેમનું પાલન કર્યું ન હતું કારણ કે તેઓ વાસ્તવિકતા જાણતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, મોહન ભાગવત જેવા મોટા વ્યક્તિત્વને પકડવું મારી ક્ષમતાની બહાર હતું. મેં આદેશોનું પાલન ન કર્યું હોવાથી, મારી સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો અને તેનાથી મારી 40 વર્ષની કારકિર્દી બરબાદ થઈ ગઈ. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની પાસે તેમના દાવાઓને સમર્થન આપવા માટે દસ્તાવેજી પુરાવા છે. તેમણે કહ્યું, કોઈ ભગવો આતંકવાદ નહોતો. બધું નકલી હતું.