ગોધરાકાંડ આધારિત, ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફરી શૂટ કરવામાં આવશેસેન્સર બોર્ડ દ્વારા અમુક દ્દશ્યો સામે વાંધો લેવામાં આવ્યો હતો
તુષાર હીરાનંદાનીની ફિલ્મ રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ ફિલ્મને વિવેચકોએ ખુબ વખાણી છે. દિવ્યાંગ લોકો પ્રત્યેની પ્રેરણાસભર અને જાગૃત કરતી આ ફિલ્મ ઘણા લોકોને સ્પર્શી ગઈ હતી. હવે તુષાર પોલિટિકલ થ્રિલર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર કામ કરી રહ્યા છે, જેમાં 12વીં ફેઇલનો વિક્રાંત મેસ્સી લીડ રોલમાં તેમજ રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જોવા મળશે.
પહેલાં આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની હતી. પછી આ ફિલ્મ પોસ્ટપોન થઈ હોવાના અહેવાલો આવ્યા હતા, જેમાં કલકી હાલ સફળતાથી ચાલી રહી છે, અને ત્યાર બાદ ઔરોં મેં કહાં દમ થા સાથે ક્લેશ ટાળવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. હવે એવા અહેવાલો આવી રહ્યા છે, કે આ ફિલ્મના કેટલાક ભાગ ફરી શૂટ કરવાના હોવાથી તેને પોસ્ટપોન કરવામાં આવી છે.
ગોધરાકાંડની આસપાસની ઘટનાઓ પર બનેલી આ ફિલ્મને પહેલાં સેન્સર બોર્ડે ઇલેક્શન પહેલાં રિલીઝ થતાં અટકાવી હતી. તેના કેટલાંક વાંધાજનક દૃશ્યો માટે સેન્સર બોર્ડે કેટલાંક સૂચનો પણ કર્યાં હતાં. જોકે, તાજા સમાચાર મુજબ કેટલાક વધુ શક્તિશાળી દૃશ્યોને ફરી શૂટ કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં જ આ શૂટ ચાલી રહ્યાં છે, ત્યારે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાથે કેટલીક અફવાઓ એવી પણ છે કે સેન્સર બોર્ડ દ્વારા કેટલાક દૃશ્યોમાં દખલગીરી થઈ રહી છે. તેની કારણે ફિલ્મ વારંવાર પોસ્ટપોન થઈ રહી છે. કારણ ગમે તે હોય પણ આ ફિલ્મ જોવા માટે દર્શકો આતુર છે તે વાત નિશ્ચિત છે.