નવો શ્રમકાયદો ગેમચેન્જર સાબિત થશે: 77 લાખ લોકોને રોજગારી મળશે, બજારમાં 75,000 કરોડની રકમ ઠલવાશે
એસબીઆઇના રિપોર્ટ મુજબ અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ લોકોને નોકરીની સુરક્ષા મળતાં વપરાશ વધશે
તાજેતરમાં લાગુ કરવામાં આવેલા નવા શ્રમ સંહિતા (Labour Codes) ભારતીય અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સુધારાઓને કારણે દેશમાં બેરોજગારીના દરમાં ઘટાડો થશે અને અંદાજે 7.7 મિલિયન (77 લાખ) નવી રોજગારીની તકો ઉભી થશે.
આ ઉપરાંત, લોકોની ખરીદશક્તિ વધવાથી બજારમાં વપરાશ વધશે, જે અર્થવ્યવસ્થામાં ₹75,000 કરોડનું નવું ભંડોળ ઉમેરશે. આ રિપોર્ટ દર્શાવે છે કે શ્રમ સુધારાઓ ભારતને આત્મનિર્ભર અને સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
એસબીઆઇના અહેવાલ મુજબ, નવા શ્રમ કાયદાઓના અમલીકરણથી બેરોજગારી દરમાં 1.3% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. વર્તમાન શ્રમ દળની ભાગીદારી (60.1%) અને કાર્યકારી વયની વસ્તીના આંકડાઓને ધ્યાનમાં લેતા, આ ઘટાડાનો અર્થ એ છે કે 77 લાખ લોકોને નવી નોકરીઓ મળી શકે છે. જોકે, આ સફળતાનો આધાર રાજ્ય સરકારો આ નિયમોને કેવી રીતે લાગુ કરે છે અને કંપનીઓ નવા માળખા સાથે અનુકૂળ થવા માટે કેટલો ખર્ચ કરે છે તેના પર રહેલો છે.
રોજગારી વધવાની સીધી અસર લોકોની ખર્ચ કરવાની ક્ષમતા પર પડશે. એસબીઆઇના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષના વિશ્ર્લેષણ મુજબ, આ કાયદાઓ લાગુ થયા બાદ પ્રતિ વ્યક્તિ દૈનિક વપરાશ ખર્ચમાં ₹66 નો વધારો થઈ શકે છે. અંદાજિત 30% બચત દરને ધ્યાનમાં લીધા બાદ પણ, આ વધારો દેશના કુલ વપરાશમાં ₹75,000 કરોડનો ઉમેરો કરશે. આનાથી બજારમાં માંગ વધશે અને ઉત્પાદનને વેગ મળશે.
ભારતમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા 440 મિલિયન જેટલી વિશાળ છે, જેમાંથી 310 મિલિયન લોકો e-SHRAM પોર્ટલ પર નોંધાયેલા છે. નવા નિયમોનો ઉદ્દેશ્ય આ કામદારોને ઔપચારિક માળખામાં લાવવાનો છે. જો માત્ર 20% કામદારો પણ અનૌપચારિકમાંથી ઔપચારિક પેરોલ પર શિફ્ટ થાય, તો લગભગ 100 મિલિયન (10 કરોડ) લોકોને નોકરીની સુરક્ષા અને સામાજિક લાભો મળશે. આગામી 2 થી 3 વર્ષમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 80% થી 85% સુધી પહોંચવાનો અંદાજ છે.